Western Times News

Gujarati News

શહેરના કોટવિસ્તારમાં 24 કલાક દરમ્યાન કોરોનાના માત્ર એક કેસ -એક મરણ

અમદાવાદ (દેવેન્દ્ર શાહ): અમદાવાદમાં કોરોનાના પ્રથમ હોટસ્પોટ બનેલા મધ્ય ઝોન ના કોટવિસ્તાર કે જ્યાં એક સમયે સૌથી વધુ કેસો હતાં તેમજ મૃત્યુદર દેશભરમાં સૌથી વધુ હતો  ત્યાં પોઝિટિવ કેસ અને મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અનલોક1માં કોટ વિસ્તારમાં 18 જૂન સુધી દૈનિક સરેરાશ 32 જેટલા જ કેસ નોંધાયા હતા. જયારે 28 જૂન સુધી સરેરાશ કેસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.મધ્યઝોનની જેમ અન્ય હોટસ્પોટ દક્ષિણઝોનમાં પણ પોઝીટીવ કેસ ઘટ્યા છે. અનલોક1 દરમ્યાન ઉતરઝોન, પશ્ચિમઝોન અને પૂર્વઝોનમાં  માં પોઝિટિવ કેસની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થયો છે. સંતોષકારક બાબત એ છે કે જૂન મહિનામાં મૃત્યુની સંખ્યા અને મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે.

એક સમયે અમદાવાદમાં કોરોનાનાનું એ.પી.સેન્ટર બનેલા કોટવિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી છે તેમજ કોરોનાને નિયંત્રિત કરવામાં તંત્ર સફળ રહ્યું છે. શહેરમાં જૂન માસ( 28 જૂન સુધી)દરમ્યાન કોરોનાના 7678 કેસ નોંધાયા છે. જે પૈકી મધ્યઝોનમાં માત્ર 765 કેસ કન્ફર્મ થયા છે.આમ, મધ્યઝોનમાં જૂન મહિનામાં દૈનિક સરેરાશ 27 કેસ નોંધાયા છે. 18 જૂન સુધી મધ્યઝોનમાં દૈનિક સરેરાશ 32 કેસ નોંધાતા હતા. 28 જૂને મધ્યઝોનમાં કોરોનાનો માત્ર એક કેસ નોંધાયો છે. જયારે છેલ્લા 5 દિવસ દરમ્યાન માત્ર 65 કેસ નોંધાયા છે.મધ્યઝોનમાં 26 જૂને 13, 27 જૂને 06 અને 28 જૂને માત્ર 01 કેસ કન્ફર્મ થયો છે. તેવી જ રીતે 24 થી 28 જૂન સુધી 5 દિવસ દરમ્યાન માત્ર 5 મૃત્યુ જ થયા છે. અત્રે નોંધનીય છે કે એક સમયે મધ્યઝોનમાં મૃત્યુદર 12 ટકા જેટલો થઈ ગયો હતો.અનલોક1માં કોરોનાના એ.પી.સેન્ટરમાં શાંતિ થઈ છે. જયારે અન્ય ત્રણ ઝોન નવા હોટસ્પોટ બન્યા છે. જેમાં ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ઝોનનો સમાવેશ થયા છે.

શહેરના પશ્ચિમઝોનમાં 28 જૂન સુધી કોરોનાના 1601, પૂર્વઝોનમાં 1074 અને ઉતરઝોનમાં 1423 કેસ નોંધાયા છે. અનલોક1માં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પૂર્વઝોનમાં પણ પરિસ્થિતિ વિકટ બની રહી છે. જયારે ઉતરઝોનમાં પણ કેસ સતત વધી રહયા છે.અનલોક -1 દરમ્યાન માત્ર પ્રથમ 28 દિવસમાં નોંધાયેલ પોઝિટિવ કેસના લગભગ 19 ટકા કેસ અને 25 ટકા મૃત્યુમાત્ર ઉતરઝોનમાં કન્ફર્મ થયા હતા..ઉત્તરઝોનમાં માત્ર 18 દિવસમાં એક હજાર કરતા વધુ કેસ અને 100 કરતા વધુ મરણ થયા હતા.

અનલોક1 દરમ્યાન કોરોનાના કેસ અને મરણની સંખ્યા વધારો થયો હોવાના આક્ષેપો થતા રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. મે માસમાં કોરોનાના 8263 કેસ અને 686 મરણ થયા હતા. જેમાં કેસની દૈનિક સરેરાશ 266 અને મૃત્યુની દૈનિક સરેરાશ 24.5 હતી. જેની સામે જૂન મહિનાના પ્રથમ 28 દિવસ દરમ્યાન 7678 કેસ અને 542 મરણ થયા છે. જેમાં કેસની સરેરાશ 274 અને મરણની સરેરાશ 19.35 છે.28 જૂને શહેરમાં 198 નવા કેસ નોંધાયા હતા. જે પૈકી મધ્યઝોનમાં 01, પશ્ચિમઝોનમાં 39, ઉતરપશ્ચિમઝોનમાં 20, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 32, ઉતરઝોનમાં 33, પૂર્વઝોનમાં 46 અને દક્ષિણઝોનમાં 27 કેસ નોંધાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.