Western Times News

Gujarati News

ભારતમાં કોરોના ચેપગ્રસ્તોની સંખ્યા ૬ લાખને પાર પહોંચી

૨૪ કલાકમાં કોવિડ-૧૯ વાયરસના ૧૯,૧૪૮ નવા કેસો નોંધાયા, એક દિવસમાં ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યા
નવી દિલ્હી,  ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૧૯,૧૪૮ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેની સાથે એક દિવસમાં ૪૩૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જેના પગલે ગુરૂવારે સવારે એટલે કે ૨જી જુલાઈએ દેશભરમાં મહામારીના કુલ દર્દીઓની સંખ્યા ૬,૦૪,૬૪૧ની થઈ ચૂકી છે. સાજા થઈ ચૂકેલા દર્દીઓની સંખ્યા જોઈએ તો અત્યાર સુધીમાં ૩,૫૯,૮૬૦ લોકો વાયરસને મ્હાત કરવામાં સફળ રહ્યા છે.

આ ઉપરાંત દેશભરમાં ખતરનાક વાયરસથી થયેલા મૃત્યુનો આંક ૧૭,૮૩૪ થયો છે. તે હિસાબે રિકવરી રેટ ૫૯.૫૧ ટકા છે અને નવા કેસોની પોઝીટીવિટી રેટ ૮.૩૪ ટકા છે. કોવિડ-૧૯ના કહેર વિશ્વના ૧૮૮ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. રજી જુલાઈએ સવાર સુધીમાં દુનિયાભરમાં દર્દીઓની કુલ સંખ્યા ૧.૦૬ કરોડને પાર થઈ ચૂકી છે. જ્યારે ૫,૧૬,૧૨૮ લોકોના મોત નિપજ્યા છે. દુનિયાભરમાં વાયરસથી સંક્રમિત ૪૬,૯૫,૧૧૯ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

જ્યારે ૫૪,૭૬,૩૧૧ લોકો મહામારીને મ્હાત કરી ચૂક્યા છે. ભારતની વાત કરીએ તો તા.૨જી જુલાઈએ સવારે ૮ સુધીમાં સક્રિય કેસોની સંખ્યા ૨,૨૬,૯૪૭ની નોંધાઈ હતી. તેની સાથે દેશમાં ટેસ્ટીંગની વાત કરીએ તો કોવિડ-૧૯ મહામારી ફેલાયા બાદથી ૧લી જુલાઈ સુધીમાં દેશભરમાં કુલ ૯૦,૫૬,૧૭૩ સેમ્પલના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જ્યારે માત્ર ૧લી જુલાઈએ ૨,૨૯,૫૮૮ સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું હતું. દેશભરના ૫ રાજ્યોમાં જ વિતેલા ૨૪ કલાકમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે.

તેની સાથે મૃત્યુની સંખ્યા પણ આ જ રાજ્યોમાંથી છે. જેમાં મહારાષ્ટ્રમાં વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ ૫,૫૩૭ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. જ્યારે તામિલનાડુમાં ૩૮૮૨, દિલ્હીમાં ૨૪૪૨, કર્ણાટકમાં ૧૨૭૨ અને તેલંગાણામાં ૧૦૧૮ દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે એક દિવસમાં થયેલા મૃત્યુમાં પણ મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯૮ લોકોના અને તામિલનાડુમાં ૬૩, દિલ્હીમાં ૬૧, ગુજરાતમાં ૨૧ અને ઉત્તરપ્રદેશના ૨૧ લોકોના મોતનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.