Western Times News

Gujarati News

જીએસટીના સ્લેબની સંખ્યામાં ઘટાડો કરવા GST કાઉન્સિલની બેઠક યોજાશે

અમદાવાદ: જીએસટી કાઉન્સીલ તેની આગામી બેઠકમાં જીએસટીના રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબની સંખ્યામાં ઘટાડો કરવા, આઇટી સિસ્ટમ્સમાં સુધારો કરવા પણ વિચારણા થઇ શકે છે, એમ નાણા સચિવ અજય ભુષણે જણાવ્યું હતું. તેમણે કહયું કે રાજયોને આપવામાં આવનારા વળતરના મુદા અંગે સક્રિય રીતે ચર્ચા થઇ રહી છે.

આવક સુધારવા અને રાજયોની ખર્ચશકિત વધારવા માટે કેટલાંક સુચનો કરવામાં આવ્યા છે. તેમાં કાઉન્સીલ બજારમાંથી ઋણ લઇને રાજયોને ચૂકવણી કરવા માટે પણ વિચારી શકે છે. જો કે, હાલના તબક્કે જીએસટીની આવકમાં ગાબડું પડ્‌યું હોવાને કારણે નિર્ણય અંગે હજુ કાઉન્સીલે સ્થિતિ સ્પસ્ટ કરી નથી.

રેટ રેશનલાઇઝેશન, વેપારમાં અવરોધ સર્જતું ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર દૂર કરવું અને તેની સાથે સ્લેબ્સની સંખ્યા ઓછી રાખવા સહિતના મુદ્દા વિચારણા હેઠળ છે. કાઉન્સીલ આ બધા અંગે અત્યંત વ્યવહારૂ વિકલ્પ અપનાવશે. જીએસટીમાં સાત સ્લેબ્સ છે અને ઘણી બાદબાકી કરાયેલી ચીજવસ્તુઓ છે.

લોકડાઉનના લીધે જીએસટીમાં આવેલી ઘટના લીધે કેન્દ્ર રાજયોને વળતર ચૂકવવા સમર્થ નથી. તેમણે જણાવ્યું હતું કે જીએસટી વળતરના કાયદા મુજબ જીએસટીના લીધે આવકમાં ઘટ પડે તો જીએસટી કાઉન્સીલ નકકી કરશે કે આ માટે શું કરી શકાય, તેની આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. કાઉન્સીલની બેઠક આ મહિનામાં ગમે તે સમયે યોજાઇ શકે છે અને રાજયોને આપવામાં આવનારું વળતર છેલ્લી કેટલીય બેઠકોમાં ચર્ચાનો ચાવીરૂપ મુદો રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે વળતરનો તફાવત અર્થતંત્રમાં આવેલી નરમાઇના લીધે ૧૪ ટકા થશે. પરંતુ તે જીએસટી સિસ્ટમના લીધે નહીં હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.