Western Times News

Gujarati News

કોરોનાનો રોકવા સુરત મનપા દરરોજ કરશે ૫ હજાર રેપીડ ટેસ્ટ

સુરત: સુરત શહેર અને જિલ્લામાં જે રીતે કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે તે તંત્ર અને લોકો માટે ચિંતાનો વિષય છે. સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦ હજારને નજીક પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અમદાવાદ કરતા સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. જાે ગુજરાતની વાત કરવામાં આવે તો કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૮ હજારને પાર પહોંચી ગઈ છે.

સુરત શહેરમાં સતત વધી રહેલા સંક્રમણને લઈને મહાનગર પાલિકા ચિંતામાં છે. કોરોનાને કંટ્રોલ કરવા માટે અનેક પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હવે પાલિકાએ દરરોજ ૫ હજાર રેપીડ ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. જે વ્યક્તિઓને તાવ, શરદી, ઉધરસ હોય તેવા વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે. જાે મનપા દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવશે તો કેસ પણ વધશે તેવી શક્યતા છે.

સુરત મહાનગર પાલિકાએ કોરોના ચેપના શરૂઆતી લક્ષણોના આધારે દર્દી તથા તેમના પરિવારજનોને હોમ આઈસોલેશન કરીને ચેપનો ફેલાવો અટકાવવા માટે રણનીતિ બનાવી છે.  જાે મનપા દરરોજ ૫ હજાર રેપીડ ટેસ્ટ કરે તો ૫૦૦ પોઝિટિવ કેસ આવે તેવી શક્યતા છે. આ માટે સુડા ખાતે પાલિકાના કમિશનર અને જીઆડીસીના મેનેજિંગ ડિરેક્ટર એમ. થેનારાશન વચ્ચે બેઠક પણ યોજાઇ હતી.
આ બેઠકમાં એઆરઆઈના તમામ કેસોનો રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી પાલિકા દરરોજ ૧૫૦૦-૧૭૦૦ રેપીડ ટેસ્ટ કરતું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.