Western Times News

Gujarati News

આત્મનિર્ભર સહાય યોજના થકી 1 લાખની લોન મળતા પાર્લરના ધંધાને પૂર્વવત કરવામાં મળી રાહત

લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી ને કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત અને ગુજરાત રાજ્ય પણ તેના ભરડામાં આવ્યું હતું. જેના થકી દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજાજનોના હિતમાં નિર્ણય લઈને લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો. જેના કારણે નાના વ્યવસાયકારો, મજૂરો અને રોજનું પેટીયું રળીને જીવન નિર્વાહ ચલાવતા પરિવારની પરિસ્થિતી ઘણી જ ગંભીર બની હતી. આવા પરિવારો બીજા પાસે સહાય માગવામાં પણ સંકોચ અનુભવતા હોય છે

ત્યારે કોરોના સંકટને પગલે તેમને ધંધા સાથે ઘર ચલાવવું ખૂબજ મુશ્કેલી ભર્યું બન્યું હતું. કોરોનાના કપરાકાળમાં તેમને સહાય પહોંચાડવા માટે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી તેમને ફરી બેઠા કરવા માટે કોરોના સંકટકાળમાં પણ રાજ્યની સંવેદનાસભર સરકાર તેમની પડખે ઊભી રહી ઉમદા અભિગમ અપનાવ્યો છે.

આત્મનિર્ભર સહાય યોજનાનો જેને લાભ મળ્યો છે તેવા મહિસાગર જિલ્લાના સેણાદરિયા ગોરાડા ગામના જયંતીભાઈ પટેલ ની વાત તેમની પાસે થી જાણીએ. જયંતીભાઈ કહે છે કે, હું ગામમાં અમૂલ પાર્લર ચલાવું છું તેમાં અમુલ આઈસ્ક્રિમ, અમુલ શ્રીખંડ, અમુલ ચોકલેટ અને અમુલ ઘી જેવી અમૂલની વસ્તુઓનો પાર્લર દ્વારા ધંધો કરતો હતો. પણ મહામારીના લોકડાઉનને કારણે મારા અમૂલ પાર્લરના ધંધાને પણ ઘણી માઠી અસર થઈ હતી અને મારો ધંધો લગભગ બંધ જેવો થઈ ગયો હતો.

અમે ઘરે બેઠા હતા અને આવકનું સાધન બંધ થઈ જતા પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેવા કપરા કાળમાં સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજનાની જાહેરાત થતાં હૈયામાં હામ આવી અને સરકારના સહયોગથી પાછો ધંધો શરૂ થશે તેવું આશાનું કિરણ દેખાયું. આત્મનિર્ભર સહાય યોજનાના માધ્યમથી ધંધા – રોજગારને ફરી શરૂ કરવા માટે ખૂબ મોટી મદદ મળી રહી છે.

એવી જાહેરાતના પગલે લુણાવાડામાં આવેલ ધી સર્વોદય ક્રેડિટ કોપરેટિવ સોસાયટીમાં આત્મનિર્ભર સહાય યોજનાના લાભ  માટે આધાર પુરાવા સાથે અરજી કરી ગણતરીના દિવસોમાં મને રૂપિયા એક લાખની લોન મળી છે. ત્યારે કોરોના કાળની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ધ્વારા માત્ર બે ટકાના વ્યાજ દરે અને તેમાં પણ પ્રથમ છ માસ સુધી લોનના હપ્તા ભરવામાંથી છુટકારો મળે છે. તે પછી આપણે મહિને મહિને લોનનો હપ્તો ભરવા ની વ્યવસ્થા કરવામાં આવી છે.

મને સંકટ સમયમાં સરળ જોગવાઈઓ ધરાવતી લોનની સહાય મળતાં હું ઘણી જ રાહત અનુભવું છું. મે મારો  અમુલ પાર્લર  નો ધંધો ફરી પૂર્વવત શરૂ કર્યો છે. અને મારી રોજિંદી આવક શરૂ થતાં મારો ધંધો ઘણો જ સારો ચાલે છે.  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભથી હું અને મારા પરિવારમાં ખુશાલી છવાઇ છે. તેના માટે સંવેદનશીલ રાજ્ય સરકાર નો ખુબ ખુબ આભારી છું.

આમ આત્મનિર્ભર સહાય યોજના નાના ધંધો-રોજગાર ધરાવતાં લોકો માટે આત્મનિર્ભર તરફ લઈ જવાનું સરકારનું સરાહનીય પગલું છે. જેના થકી મજબૂત આત્મવિશ્વાસ સાથે અગાઉ કરતાં પણ વધુ ઝડપે આગળ વધવા માટે આત્મનિર્ભર સહાય યોજના આશીર્વાદરૂપ પુરવાર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.