Western Times News

Gujarati News

મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ લાખ રોપા લગાવ્યા

(દેવેન્દ્ર શાહ દ્રારા) અમદાવાદ,  અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે. તેમજ વિવિધ પ્રકારના રોપા નું નાગરિકો ને વિતરણ પણ કરવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા આયુર્વેદિક ઔષધની રોપાનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યા છે સાથે સાથે ત્રણ લાખ કરતા વધુ રોપા લગાવવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલના જણાવ્યા અનુસાર દર વરસે ચોમાસાની સીઝન દરમ્યાન મનપાની વિવિધ મિલકતોમાં મોટાપાયે વૃક્ષારોપણ કરવામાં આવે છે. સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછા એક લાખ રોપા લાગે છે.૨૦૧૯માં ખાનગી સંસ્થાઓની મદદથી ૧૧ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા. જયારે ૨૦૨૦માં જુલાઈ માસના અંત સુધી ૩ લાખ ૦૮ હજાર રોપા લાગી ચુક્યા છે. શહેરના મધ્યઝોનમાં ૨૨૬૨૨, પૂર્વઝોનમાં ૫૬૬૫૬, પશ્ચિમઝોનમાં ૮૮૯૦૨, ઉતરઝોનમાં ૨૬૨૭૬, દક્ષિણઝોનમાં ૫૩૨૧૯, ઉત્તર પશ્ચિમઝોનમાં ૨૯૪૮૦ અને દક્ષિણ પશ્ચિમઝોનમાં ૩૧૫૧૪ મળી કુલ ૩૦૮૬૬૯ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં લીમડો, સપ્તપરણી, ગરમાળો, ગુલમહોર વગેરે મુખ્ય છે. વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને આયુર્વેદ રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના સામે રક્ષણ મેળવવા માટે આયુર્વેદ ઉત્તમ ઉપાય છે. તેથી આ વર્ષે આયુર્વેદ ઔષધની રોપા નો ઉછેર કરવામાં આવી રહ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હાલ તુલસીરથ ના માધ્યમથી તુલસી રોપાનું વિતરણ થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની જુદી જુદી નર્સરીમાં ગિલોય, નગોડ, અરડૂસી અને અશ્વગંધા ના રોપાનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. તમામ ઔષધિના એક-એક લાખ અને તુલસીના પાંચ લાખ રોપાનું તુલસીરથ ઘ્વારા વિતરણ કરવામાં આવશે. નાગરિકો તેમના ઘરે કે સોસાયટીમાં તેનો ઉછેર કરીને ઉપયોગ કરી શકશે. કોરોનાને લડત આપવા માટે ઇમ્યુનિટી વધુ હોવી જરૂરી છે. આ તમામ ઔષધિના ઉપયોગ થી કોરોના સામે નાગરિકોને રક્ષણ મળશે.

ગત વર્ષે ની જેમ ચાલુ વરસે ‘મિશન મીલીયન ટ્રીઝ પ્રોજેક્ટ ના કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન ના કારણે મિશન મિલિયન ટ્રીઝ માટે જરૂરી તૈયારીઓ થઈ શકી નથી. ખાસ કરી ને શ્રમિકો ની અછત ના કારણે જરૂરી ખાડા ખોદવા અને વૃક્ષ લગાવવાની કામગીરી મુશ્કેલ છે. જેના કારણે આ ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન રદ કરવાની ફરજ પડી છે. તેમ છતા શક્ય તેટલા વધુ રોપા લગાવવા પ્રયત્ન કરવામાં આવશે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સમયે પણ બે લાખ વૃક્ષ લગાવવામાં આવ્યા હતા. ગત ચોમાસામાં મિશન મિલિયન ટ્રીઝ અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૦ પ્લોટમાં જાપાનની મીયાસાંકી પધ્ધતિથી સાડા ત્રણ લાખ રોપા લગાવવામાં આવ્યા હતા.

જ્યારે ૭૦૦ કિલોમીટર રસ્તાની બંન્ને બાજુ ૪૦ હજાર કરતા પણ વધુ વૃક્ષ રોપવામાં આવ્યા હતા.. શહેરને પ્રદુષણ મુક્ત કરવા માટે ૧ર૦ રિઝર્વ પ્લોટમાં ગીચ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.. જેના કારણે પ્રદુષણની માત્રામાં ઘટાડો થયો છે..ભૂતકાળમાં રોપા લગાવ્યા બાદ તેની માવજતની સમસ્યા રહેતી હતી. તેના કારણે માંડ ર૦ ટકા રોપા જ બચતા હતા. ‘મિશન મિલીયન ટ્રીઝ’ અભિયાનમાં રોપા લગાવવાની સાથે સાથે તેનો યોગ્ય ઉછેર થાય એ દિશામાં પણ ધ્યાન આપ્યુ છે.

જેમાં સદર પ્રોજેક્ટમાં ખાનગી પ્લોટના માલિકો, જીઆઈડીસી એસોસીએશન, વેપારી એસોસીએશન, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થાનો,
એનજીઓ વગેરેને પણ જોડવામાં આવ્યા હતા.આ તમામ સંસ્થાઓ દ્વારા વૃક્ષની માવજત કરવાની જવાબદારી લેવામાં આવી છે. મ્યુનિસિપલ રીઝર્વ પ્લોટમાં જે રોપા લગાવવામાં આવ્યા હતા. તેની માવજત માટે પણ વિવિધ એનજીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

તેથી દસ લાખ વૃક્ષો પૈકી ઓછામાં ઓછો ૮૦ ટકા રોપાનો વ્યવસ્થિત ઉછેર થશે તેમ જણાવ્યુ હતુ. મિશન મિલીયન ટ્રીઝ પ્રોજેક્ટમાં લીમડો, ગુલમહોર, કણજી, વડ, પીપળો, સપ્તપણી, ગરમાળો, બોરસલ્લી, પેથોડીયા, મહાગોની જેવા વૃક્ષોની વિવિધ જાતો લગાવવામાં આવી છે. ઓછા પાણીમાં પણ વ્યવસ્થિત ઉછેર થઈ શકે એ બાબતનું ખાસ ધ્યાન રાખીને વૃક્ષોની પસંદગી કરવામાં આવી હતી. મિશન મીલીયન ટ્રીઝ’ પ્રોજેક્ટની સફળતા સાથે જ શહેરમાં હરિયાળી ક્રાંતિ’નું સ્વપ્ન સાકાર થયું છે, એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.