પહેલીવાર અંબાજીનો ચાચર ચોક ભક્તો વગર સુનો પડ્યો
અંબાજી: આજે ભાદરવી પૂનમ છે. દરવર્ષે અંબાજી ખાતે મા અંબાના દર્શન માટે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને ભક્તોની ભીડ જામી હોય. આખો ચાંચર ચોક બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગૂંજી ઉઠતો હોય છે. પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર મંદિર ભક્તો વગર સુનું પડ્યું છે. આજે ભાદરવી પૂનમની સવારની આરતીમાં પણ ભક્તોએ ઘરે બેઠા ઓનલાઇન દર્શન કરીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા.
તો બીજી બાજુ ભાદરવી પૂનમના મેળાને રદ કરીને કોરોના મહાસંકટથી મુક્તિ માટે અંબાજી મંદિરમાં સાત દિવસનો સહસ્ત્રી ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ સાદગીથી ઉજવણી થઈ રહી છે.
દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં આશરે ૨૫ લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે. કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી.
પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી ન્યૂઝ૧૮ ગુજરાતીનાં માધ્યમથી તમે ઘરે બેઠા જ આદ્યશક્તિનાં દર્શન કરી શકો છો. માઈભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો તમારે પણ ઘરે બેઠા માતાજીના દર્શન કરવા હોય તો તમે યુટ્યુબ, ટિ્વટર અને ફેસબુકનાં માધ્યમથી દર્શન કરી શકો છો. અંબાજીથી બે કી.મી. દૂર એકાવન શક્તિપીઠોમાં મહત્વનું સ્થાન ધરાવતા શક્તિપીઠ ગબ્બર આવેલો છે. જ્યાં માતાજીના હૃદયનો ભાગ પડ્યો હોવાને લઈ
આ પર્વતનો આકાર પણ હૃદય જેવો દેખાતો હોવાનું મનાઇ રહ્યું છે. જેની ઉપર વિશ્વભરમાં પથરાયેલા શક્તિપીઠો જેવા જ શક્તિપીઠોનું પણ નિર્માણ કરાયું હતું. તેની વિધિવત પૂજા થઈ રહી છે. વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓ સોશિયલ મીડિયાના માધ્યમથી માં અંબાના અને એકાવન શક્તિપીઠોના પણ દર્શન કરી અભિભૂત થઈ રહ્યા છે. પાંચ દિવસમાં કુલ ૨૭.૩૦ લાખ ભક્તોએ ઘર બેઠા માતાજીના દર્શન કર્યા હતા.