Western Times News

Gujarati News

વસ્ત્રાપુર પી.એસ.પી.કોલોનીમાં કોરોનાના ૧૨૫ પોઝીટીવ કેસ

(દેવેન્દ્ર શાહ દ્વારા )અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ રોકવા માટે છેલ્લા દોઢ મહિનાથી ટેસ્ટીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને ટેસ્ટ કરવામાં આવે છે. જેના કારણે એક જ સોસાયટી કે પરિવારમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ બહાર આવી રહ્યા છે. હવે, મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા “મેગા ટેસ્ટ”ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં એકજ વોર્ડમાં હજારોની સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મનપાને સદર ઝુંબેશના કારણે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.

મ્યુનિ.આરોગ્ય વિભાગે ૩૧ ઓગસ્ટથી મેગા ટેસ્ટ ડ્રાઈવ શરૂ કરી છે. જેના ભાગરૂપે ૩૧ ઓગસ્ટે મણીનગર વોર્ડમાં ૧૦૦ કરતા વધુ ટીમો દ્વારા પાંચ હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જે પૈકી ૪૦ પોઝીટીવ કેસ મળ્યા હતા. ૧ સપ્ટેમ્બરે સિંધુભવન રોડ પર અંબુજા હાઉસના કર્મચારીઓના ટેસ્ટ કર્યા હતા. મ્યુનિ.આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૩૨ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી ૨૨ પોઝીટીવ કેસ મળી આવ્યાં છે. જ્યારે છેલ્લા બે દિવસથી વસ્ત્રાપુરમાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ પાસે આવેલી પી.એલ.પી.કોલોનીમાં વસવાટ કરતા પરપ્રાંતિય મજૂરોના ટેસ્ટ થઈ રહ્યાં છે. મનપાની ટીમ દ્વારા ૬૫૦ મજૂરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

જે પૈકી ૧૨૫ મજૂરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલ પેલેડીયમ મોલનાં ૧૭૫ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ૩૦ પોઝીટીવ મળી આવ્યાં છે. તેમજ બોડક દેવ ખાતે આવેલ આઈસીટી નર્મદાના ૧૫૦ કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ થયાં હતાં. જે પૈકી ૧૨ પોઝીટીવ કન્ફર્મ થયાં છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પોઝીટીવ કેસની સંખ્યાના આધારે જે તે સોસાયટીને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મૂકવામાં આવે છે. ૧ સપ્ટેમ્બરે ૩૯૦ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાંથી ૧૫ વિસ્તારને મુક્ત કરવામાં આવ્યાં છે.

જ્યારે નવા ૧૬ વિસ્તારોનો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શાહ-એ-આલમ સોસાયટી, દાણીલીમડા, પરિષ્કર વિભાગ-૨, ખોખરા, પીએલપી કન્સ્ટ્રક્શન સાઈટ થલતેજ, આગમન પાર્ક ઓઢવ, શિલાલેખ એપાર્ટમેન્ટ શાહીબાગ વગેરેનો સમાવેશ થાય છે. અત્રે નોંધનીય છે કે, એન્ટીજન ટેસ્ટ શરૂ કર્યા બાદ એક જ પરિવાર કે સોસાયટીમાંથી મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ મળી રહ્યા છે. વસ્ત્રાપુર, સિંધુભવન ઉપરાંત ઈસનપુરની પ્રેરણાપાર્ક સોસાયટી, ડી.એચ.પ્રાઈડ, મહાલક્ષ્મી સોસાયટી, કર્ણાવતી વિભાગ ત્રણ, જશોદાનગરની હિમાપાર્ક સહિતની સોસાયટીઓમાં કોરોનાના કેસ મળી આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.