પાર્થ આલિયાની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
મુંબઈ: હાલમાં જ ખબર આવી હતી કે ટીવી એક્ટર પાર્થ સમથાન લોકપ્રિય શો કસૌટી જિંદગી કીથી અલગ થઈ રહ્યો છે. જોકે તેણે પોતાના આ શો છોડવાને લઈને કોઈ ઔપચારિક જાહેરાત નથી કરી, પરંતુ હવે આ ચર્ચા સામે આવી રહી છે કે તે શોમાં ‘અનુરાગ બાસુ’નું લીડ પાત્ર ભજવતો જોવા નહીં મળે.
રિપોર્ટ મુજબ પાર્થે બોલિવૂડ ફિલ્મ માટે ટીવી ઈન્ડસ્ટ્રીને ગુડબાય કહી દીધું છે. એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ સ્પોટબોયની રિપોર્ટ મુજબ, પાર્થને બોલિવૂડની એક મોટી ફિલ્મ મળી ગઈ છે અને આ કારણે જ તેણે પોતાના જાણીતા શો કસોટી જિંદગી કી ૨ છોડવા ઈચ્છે છે. રિપોર્ટ મુજબ પાર્થે પોતાની પહેલી બોલિવૂડ ફિલ્મ સાઈન કરી લીધી છે અને પોતાના આ પ્રોજેક્ટને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. ખબર છે કે પાર્થને સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘માં ખૂબ જ સારો રોલ ઓફર કરવામાં આવ્યો છે.
કહેવામાં આવ્યું છે કે ભણસાલીની આ ફિલ્મમાં પાર્થ આલિયા ભટ્ટની સામે લીડ રોલમાં જોવા મળશે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટની સામે ફિલ્મમાં કોણ હશે તેને લઈને ઘણા નામો સામે આવી ચૂક્યા છે. આ પહેલા ખબર આવી ચૂકી હતી કે આલિયાના ઓપોઝિટ ટીવી એક્ટર શાન્તનુ મહેશ્વરીને કાસ્ટ કરી શકાય છે. જોકે આ પહેલા કાર્તિક આર્યન, ઈમરાન હાશ્મીને પણ આ રોલ ઓફર કરાયો હોવાની ખબરો આવી હતી.
ફિલ્મનુ શૂટિંગ માર્ચમાં શરૂ પણ થઈ ચૂક્યું હતું, પરંતુ લોકડાઉનના કારણે તેને રોકવું પડ્યું. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હુસૈન જૈદીની બુક માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિત છે. પુસ્તકમાં ગંગુબાઈ કાઠિયાવાડીનું સાચું નામ ગંગા હરજીવનદાસ હતુ અને તે ગુજરાતના એક સમૃદ્ધ પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. ગંગુબાઈને તેના પતિએ ૫૦૦ રૂપિયામાં વેચી દે છે, જ્યારે તે પતિ સાથે નવી જિંદગી જીવવાના સપના જોઈ રહી હોય છે.