લીંબડીના રળોલ ગામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Muder1.jpg)
Files Photo
લીંબડી: લીંબડીના ભલગામડા ગેટ પાસે રળોલ ગામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સબંધના કારણે હત્યા થઈ હોવાનું સામે આવી રહ્યું છે. હત્યામાં ૩ શખ્સો સામેલ હોવાની વિગત જાણવા મળી છે. એલસીબી-ડીવાયએસપી ટીમે હત્યામાં સામેલ ૧ શખ્સની અટકાયત કરી હોવાની માહિતી મળી રહી છે.
લીંબડી તાલુકાના રળોલ ગામે રહેતો સરફરાજ અબ્બાસભાઈ વડદરીયા બાઈક લઈ ભલગામડા ગેટ પાસે પસાર થઈ રહ્યો હતો. અન્ય બાઈક પર સવાર ૨થી ૩ શખ્સોએ સરફરાજના બાઈકને આંતરી ઊભો રાખ્યો હતો. કોઈ વાતને લઈને સરફરાજ અને સામેના અજાણ્યા શખ્સો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અજાણ્યા શખ્સોએ સરફરાજ ઉપર હુમલો કર્યો હતો. સરફરાજના પેટ, છાતી, માથા સહિતના ભાગોમાં છરી વડે હુમલો કરી શખ્સો નાસી છૂટ્યા હતા.
સરફરાજ વડદરીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. છડે ચોક હત્યાનો બનાવ બનતા લીંબડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પીએસઆઈ વી.એન.ચૌધરી, ડીવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલ સહિત પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. હત્યારાઓને ઝડપી પાડવા ડીવાયએસપી ચેતન મુંધવા દ્વારા અલગ-અલગ ૫ ટીમો બનાવી શહેર અને હાઈવે ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. એલસીબી ટીમે રળોલ ગામથી હત્યામાં સામેલ બાઈક ચાલક રણજીતની અટકાયત કરી લીધી હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.