વિરમગામના નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં આધુનિક વેન્ટીલેટર સેવાનો પ્રારંભ કરાયો
વિરમગામ, આખી દુનિયા કોરાના મહામારીનો સામનો કરી રહી છે ત્યારે માસ્ક, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા માટે નિષ્ણાંતો સલાહ આપી રહ્યા છે. આ સાથે જ ભારતમાં કોરોનાની સેકન્ડ વેવમાં ચારેબાજુ સાંભળવા મળેલો શબ્દ છે વેન્ટીલેટર. વેન્ટીલેટર એટલે લાઇફ સપોર્ટ સિસ્ટમ. વેન્ટીલેટરના ઉપયોગથી માણસનો જીવ જતો બચાવી શકાય છે.
જ્યારે દર્દીની સ્થિતી ઓક્સિજન આપવા છતાં પણ નાજુક થઇ જાય છે અને હ્રદય, કિડની, લિવર, મગજ કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે આવી પરિસ્થીતીમાં દર્દીને લાઇફ સપોર્ટ સિસ્ટમની મદદ જીવીત રાખી શકાય છે. વેન્ટલેટરની મદદથી દર્દીને કૃત્રિમ શ્વાસ આપવામાં આવે છે અને ડૉક્ટરને સારવાર કરવા માટે સમય પણ મળી રહે છે.
કોરોનાની સંભવિત થર્ડ વેવ દરમ્યાન ખાસ કરીને બાળકોને વેન્ટિલેટરની સેવા આપી શકાય તે હેતુથી વિરમગામના નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં આધુનિક વેન્ટીલેટર સેવાનો પ્રારંભ કરાયો છે. વિરમગામ તથા આસપાસના વિસ્તારના ક્રિટીકલ બાળકોને પણ નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં વેન્ટીલેટર સેવાનો લાભ મળશે. તેમ વિરમગામના નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલના પીડીયાટ્રીશીયન ડો.રોહીતકુમાર પટેલે જણાવ્યું હતું.