ઈડીની લુકઆઉટ નોટિસ બાદ હવે અનિલ દેશમુખની ગમે ત્યારે ધરપકડ
મુંબઈ, મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની ખંડણી વસૂલીના મામલામાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એનસીપીના ટોચના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઈશ્યૂ કર્યા બાદ હવે ગમે તે ઘડીએ દેશમુખની ધરપકડ થઈ શકે છે.
અહેવાલો અનુસાર ઈડીએ અનિલ દેશમુખને પાંચ વાર સમન્સ જારી કરવા છતાં પણ હજુ તેઓ ઈડી સમક્ષ હાજર થયા નથી અને તેથી દેશમુખ હવે દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં છે તેવી આશંકા વચ્ચે ઈડીએ લુકઆઉટ નોટિસ જારી કરી દીધી છે.
લુકઆઉટ નોટિસ ઈશ્યૂ કર્યા બાદ એનસીપી નેતા દેશમુખ દેશ છોડીને બહાર જઈ શકશે નહીં. તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ એટલા માટે ઈશ્યુ કરવામાં આવી છે કે જેથી તેઓ દેશ છોડવાના તેમના ઈરાદામાં સફળ ન રહે.
આમ, હવે ઇડી દ્વારા લુકઆઉટ નોટિસ ઈશ્યૂ કર્યા બાદ અનિલ દેશમુખની ધરપકડનો ખતરો વધ્યો છે. આ કેસમાં અનિલ દેશમુખના અંગત સચિવ (પીએસ) અને અંગત સંજીવ પલાન્ડે અને કુદ શિંદેની ઈડીએ ૨૬ જૂનના રોજ ધરપકડ કરી હતી. બંને વિરૂદ્ધ ૨૩ ઓગસ્ટના રોજ ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ છે. બંને સામે ખંડણીનાં નાણાં વસૂલવા અને તેને બ્લેકમાંથી વ્હાઈટ કરવાનો ગંભીર આરોપ છે.
આ કેસમાં ઇડીએ દેશમુખનાં ૧૨થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરીને રૂપિયા ૪.૨ કરોડ કરતાં વધુ રકમની સંપત્તિ જપ્ત કરી હતી. દેશમુખને આ કેસમાં બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તરફથી સતત ફટકાર પણ મળી ચૂકી છે. જાેકે દેશમુખની એક અરજીની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં હજુ પેન્ડિંગ છે. અનિલ દેશમુખના વકીલ ઈન્દ્રપાલે જણાવ્યું છે કે અમે ઈડીને અપીલ કરી છે કે જ્યાં સુધી મામલો કોર્ટમાં અનિર્ણીત છે ત્યાં સુધી તેઓ અમને હાજર થવા ફરજ પાડી શકે નહીં.