Western Times News

Gujarati News

નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી: 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની છૂટ

પ્રતિકાત્મક

અમદાવાદ, કોરોનાના કારણે ગત વર્ષે નવરાત્રિની ઉજવણી કરવામાં નહોતી આવી, પરંતુ આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે.

400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જોકે, ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં આવી નથી. આ સાથે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, આવતીકાલથી રાત્રે કર્ફ્યૂનો સમય 1 કલાક વધારવામાં આવ્યો છે. હવેથી રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 25મી સપ્ટેમ્બરના શનિવારે પૂર્ણ થાય છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ સ્થિતિમાં ગુજરાતની નવી સરકાર રાત્રિ કર્ફ્યૂમાં ઘટાડા સાથે નવરાત્રિમાં શેરી ગરબાના આયોજનો માટે નવી ગાઈડલાઈન સાથે મહત્વનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જે 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 12 કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

રાત્રિ કર્ફ્યૂની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11થી સવારે 6 વાગ્યા સુધીની છે, તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.