રાજ્ય સરકારના વર્ગ ૩ જગ્યાની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા ખાતેના ૩૬ પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગ/ખાતાના વડાની કચેરીઓની ઓફીસ આસીસ્ટન્ટ/બિન સચિવાલય કલાર્ક વર્ગ-૩ જગ્યા ઉપરની ભરતી માટેની લેખિત પરીક્ષા તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૨ઃ૦૦ કલાકથી ૧૪ઃ૦૦ કલાક સુધી યોજાનાર છે.
પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવો આશ્યક જણાય છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૧૩/૦૨/૨૦૨૨ ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકથી ૧૬ઃ૦૦ કલાક સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગ/ખાતાના વડાની કચેરીઓની ઓફીસ આસીસ્ટન્ટ/બિન સચિવાલય કલાર્ક વર્ગ-૩ જગ્યા ઉપરની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાનાર હોય, ભરૂચ જિલ્લા ખાતેના તમામ ૩૬ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ પરીક્ષાની કામગીરી સાથે કોઇપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના અધિકારી – કર્મચારીઓ,પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યકિતઓને, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષકદળની વ્યકિતઓને, આકસસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુકમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચે એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે.