સરકારી ઈજનેરી કોલેજાેમાં વર્ગ-૨ની ૮૮ ટકા જગ્યાઓ ભરેલી છે: શિક્ષણ મંત્રી
ગાંધીનગર, ગુજરાતમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ની સ્થિતિએ વર્ગ-૨ની કુલ ૧૪૬૭ જગ્યાઓમાંથી ૧૨૯૨ એટલે કે ૮૮ ટકા જગ્યાઓ ભરેલી છે. જ્યારે ૧૭૫ જગ્યાઓ ખાલી છે તેમ વિધાનસભાગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ઇજનેરી કોલેજાેમાં સંખ્યા ઘટતી જાય છે તેમજ કોલેજાેમાં કોર્ષ આધારિત જગ્યા હોવાથી તેની માંગ મુજબ આ જગ્યાઓ ભરવામાં આવે છે. હાલમાં ખાલી જગ્યાઓની માંગ-જરૂરિયાત મુજબ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ ધારાસભ્યશ્રીના પેટા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી ઇજનેરી કોલેજાેમાં નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, રાજીનામું અને અવસાન સહિતના કારણોસર જગ્યાઓ ખાલી પડતી હોય છે.
ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં સરકારી ઇજનેરી કોલેજાેમાં વર્ગ-૨ની કુલ ૩૭૨ જગ્યાઓ ભરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે અગાઉ કોંગ્રેસની સરકારમાં ભરતી ઉપર જ પ્રતિબંધ હતો જ્યારે સૌથી વધુ ભરતી અમારી સરકારે કરી છે.
પહેલાંના સમયમાં તો પરીક્ષાઓ પણ યોજવામાં આવતી ન હતી અને મંત્રીશ્રીઓના સગા-સંબંધીઓને સીધી જ નોકરી આપી દેવામાં આવતી હતી. જ્યારે વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંપૂર્ણ પારદર્શકતાથી ભરતી કરવામાં આવે છે. તેના માટે નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર કોઈ ગુનેગારોને છોડવામાં આવશે નહીં તેમ પણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.HS