મધ્ય પ્રદેશ વિધાનસભામાં કમલનાથનું વિપક્ષ નેતાના પદ પરથી રાજીનામુ

ભોપાલ, મધ્ય પ્રદેશ વિધાનસભામાં વિપક્ષ નેતાની ભૂમિકા ભજવી રહેલા પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમના સ્થાને હવે ગોવિંદ સિંહને વિપક્ષ નેતા બનાવી દેવામાં આવ્યા છે.
અગાઉ પણ એવી અટકળો લગાવાઈ રહી હતી કે, કમલનાથ પોતાના પદેથી રાજીનામુ આપી શકે છે ત્યારે આખરે તેમણે પોતાનું રાજીનામુ કોંગ્રેસ હાઈકમાનને સોંપી દીધું છે.
જોકે કમલનાથના આ પગલાં પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું. છેલ્લા અનેક દિવસથી કમલનાથ વિવાદોમાં ઘેરાયેલા હતા. વિધાનસભાની કાર્યવાહી મામલે તેમણે એક નિવેદન આપ્યું હતું તેને લઈને પણ વિવાદ જાગ્યો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, સદનની કાર્યવાહીમાં ભાજપનો બકવાસ સાંભળવા માટે નથી જતા. તેમના આ નિવેદન અંગે ભાજપે વિરોધ નોંધાવ્યો હતો અને વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કાર્યવાહી કરવા માગણી કરી હતી. ત્યારે આ વિવાદો વચ્ચે કમલનાથે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.
નવા વિપક્ષ નેતા ગોવિંદ સિંહની વાત કરીએ તો તેઓ 7 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને કોંગ્રેસમાં અનેક મહત્વપૂર્ણ પદ સંભાળી ચુક્યા છે. જોકે તેમની નિયુક્તિને લઈને પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના મતે કોંગ્રેસે વિપક્ષ નેતા તરીકે કોઈ એસસી, એસટી કે ઓબીસી વર્ગના નેતાને નથી પસંદ કર્યા તે જે-તે સમાજનું અપમાન છે.