૧૧ મા દિવસે પણ આયુષ તબીબોની હડતાળ યથાવત, કહ્યું-સરકારે વચન ન પાળ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Western-3dlogo1-1024x591.jpg)
ગાંધીનગર,સરકાર દ્વારા ૧૦ દિવસોથી હડતાળનો જવાબ ન આપ્યા બાદ આયુષ ડોક્ટરોએ સીએમ ડેસ્ક પર રોજનો રિપોર્ટ આપવાનો બંધ કર્યો છે. આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલોના ૧૦૦૦ થી વધુ ડોક્ટર એનપીપીએ અને વધુ પગારની માંગને લઈને હડતાળ પર ઉતર્યા છે. આયુષ તબીબોને આયુષ સેક્રેટરી અને આરોગ્ય મંત્રીની બાંહેધરી છતાં NPPA ના ચૂકવાતા વિરોધ પ્રદર્શનનો અગિયારમો દિવસ ચાલી રહ્યો છે.
એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા માં યોજાયેલ આયુર્વેદ સમિટના સમયે આયુષના તબીબોને એકજ મહિનામાં સાતમા પગારપંચ મુજબ NPPA ના લાભો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આયુષ સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચાજીએ પણ ઝડપથી NPPA નો ઠરાવ થશે તેવી હૈયાધારણ આપી હતી. છતાં આજની તારીખ સુધી આયુષ તબીબોને NPPA આપવાનો ઠરાવ કરવામાં આવ્યો નથી. જે અંગે તેઓ હડતાળ પર ઉતર્યાં છે.
ઇન સર્વિસ આયુષ ડોક્ટર ફોરમ ગુજરાત રાજ્યના આદેશ અનુસાર સમગ્ર રાજ્યમાં સરકારી આયુષ તબીબો દ્વારા ડૉક્ટર દિવસ ૧ જુલાઈથી ચાલુ થયેલ વિરોધ પ્રદર્શનના આજે અગિયારમાં દિવસે પણ આયુષ તબીબો દ્વારા “કાળી પટ્ટી ” ધારણ કરાઈ હતી. તેમજ સૂત્રોચ્ચાર કરી દર્દીઓને સાથે રાખી રામધૂન તેમજ હનુમાન ચાલીસાનું ગાન કરી સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુપ્રિમ કોર્ટે પણ કહ્યું છે કે આયુષના તબીબોને એલોપેથી તબીબો જેટલા પગાર અને ભથ્થાના લાભ આપવા જાેઈએ. પરંતુ હાલની ગુજરાત સરકાર દ્વારા વારંવાર વાયદાઓ કરવા છતાં કોઈ પણ કારણ વિના આયુષ તબીબોને સાતમા પગાર પંચ મુજબ NPPA આપવામાંથી બાકાત રાખી આયુષ તબીબોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ અન્યાય સામે ઉપર જણાવ્યા મુજબ ઇન સર્વિસ આયુષ ડોક્ટર ફોરમના આદેશ અન્વયે સમગ્ર ગુજરાતનાં તમામ આયુષ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.hm