Western Times News

Gujarati News

તા. 13થી 15 ઓગસ્ટ દરમિયાન તમામ ઘરો, કચેરીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે

હર ઘર તિરંગાકાર્યક્રમની ઉજવણીને અનુલક્ષી અમદાવાદ ખાતે કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ

હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી અંતર્ગત તારીખ 11 ઓગસ્ટના રોજ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

તા. 8 અને તા. 9 ઓગસ્ટ દરમિયાન તમામ શાળાઓમાં  હર ઘર તિરંગાથીમ આધારિત રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત, ચિત્ર, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

ભારતનો રાષ્ટ્રધ્વજ દેશવાસીઓ માટે આન-બાન-શાન છે. આ રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજ્ય સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી કરાશે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ રંગે-ચંગે ઉજવણી થાય તે માટે અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી.

‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત આગામી તારીખ 11 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. તારીખ 13થી 15 ઓગસ્ટ, 2024 દરમિયાન રાજ્યના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, ધાર્મિક અને આઇકોનિક તથા ટૂરિસ્ટ પ્લેસ, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે.

આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 2.00 કિ.મી.ના રૂટ ઉપર કાર્નિવલ પરેડનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યનાં 4 મહાનગરોમાં મેગા પરેડનું આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસના જવાનો, શાળાનાં બાળકો, પરંપરાગત લોકનૃત્યના કલાકારો તથા અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડ, યુવક બોર્ડ, રમતવીરો પરેડમાં સામેલ થશે.

આગામી તા. 8 અને તા. 9 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓમાં સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી નિમિત્તે ‘હર ઘર તિરંગા’ થીમ આધારિત રંગોળી સ્પર્ધા, દેશભક્તિ ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં તમામ શિક્ષણ સંસ્થાઓ જોડાશે.

અત્રે ઉલ્લખનીય છે કે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ માટે તારીખ 7 ઓગસ્ટ સુધીમાં રાષ્ટ્રધ્વજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પૂરા પાડવામાં આવશે જેને ગ્રામ્ય કક્ષાએ ઘર ઘર સુધી પહોચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અંતર્ગત ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર કાર્યક્રમની ઉજવણી દરમ્યાન રાષ્ટ્ર ધ્વજની ગરિમા જળવાય એ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર શ્રી સુધીર પટેલ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.