Western Times News

Gujarati News

ગુજરાતના ૯૭ ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે: ઊર્જા મંત્રી

AI Image

છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે

Gandhinagar,  રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળવા અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ૯૭ ટકા ગામોને દિવસે વીજળી મળતી થઈ છે. જ્યારે બાકી રહેલા ત્રણ ટકા વિસ્તારોમાં કે જેમાં બનાસકાંઠા,દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લાના જમીન અને કાયદાકીય પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી ટુંક સમયમાં જ પૂર્ણ કરી ખેડૂતોને વીજળી અપાશે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા કુલ ૮૪૬ ગામડાઓ છે. જેના ૪૨,૬૭૦ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે.

ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવાના કારણે જાનવરોનો ભય, શિયાળાની કડકડતી ઠંડી અને રાત ઉજાગરામાંથી રાહત આપવા માટે રાજ્ય સરકારે નક્કર પગલાં તરીકે ‘કિસાન સૂર્યોદય યોજના’ અમલમાં મૂકી છે. જેના પરિણામે ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને તેનો ફાયદો ખેડૂતોને સામાજિક અને કુટુંબજીવનમાં પણ થયો છે.

રાજ્યમાં ખેતીવાડી વીજ વપરાશમાં ઉત્તરોત્તર વધારા અંગેની માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૩૮૮ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫૯૯ કરોડ યુનિટ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૬૩૦ કરોડ યુનિટ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં જાન્યુઆરી-૨૦૨૫ સુધીમાં ૨૦૧૬ કરોડ યુનિટ વીજ વપરાશ થયો છે. જ્યારે જાન્યુઆરી-૨૦૨૫માં મહત્તમ વીજમાગ ૧૦,૧૦૭ મેગાવોટ નોંધાઈ છે. આમ છતાં, મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે.

આ પ્રકારે દિવસે વીજળી આપવાથી આવનારા વધારાના વીજલોડને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં GETCOના પ્રવહન માળખાના અપગ્રેડેશન માટે કુલ રૂ. ૮૮૧૦ કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં કુલ રૂ.૩૮૫૯ કરોડના ખર્ચે ૩૬૪૯ સર્કિટ કિ.મી. વીજરેષાઓ તથા ૩૪ નવાં વીજ સબસ્ટેશનોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.