વિરપુરમાં માનસ મર્મજ્ઞ શ્રી મોરારી બાપુની રામકથામાં પૂર્ણાહુતિ પ્રસંગે મુખ્યમંત્રી ઉપસ્થિત

જલારામ બાપા સહિતના સંતોએ ચીંધેલા સદાવ્રત અને જન કલ્યાણના માર્ગે ગુજરાત રાજ્ય આગળ વધ્યું છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતેની જલારામ બાપાની સુપ્રસિદ્ધ સદાવ્રત જગ્યામાં માનસ મર્મજ્ઞ શ્રી મોરારી બાપુ ની રામકથાની પૂર્ણાહુતિ પ્રસંગે દર્શન અને આરતી કરી ધન્યતા અનુભવી હતી.
રામકથામાં શ્રી મોરારી બાપુના આશીર્વાદ લઈ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભકતો સેવકોને દેશ અને ગુજરાતની માનવ અને જીવ માત્રના કલ્યાણની સંસ્કૃતિની વાત કરતા જણાવ્યું હતુ કે, જલારામબાપા, નરસિંહ મહેતા,સ્વામિનારાયણ ભગવાન સહિતના સંતોએ ચીંધેલા માનવ કલ્યાણનાં માર્ગે ગુજરાત આગળ વધ્યું છે. ગુજરાત મહાત્મા ગાંધીનું છે ,સરદાર સાહેબનું છે. મોરારીબાપુનું પણ છે તેમ જણાવીને ગુજરાત સંસ્કારી અને કરુણા તેમજ કોઈ ભૂખ્યું ન રહે તેવી માનવતાવાળુ છે અને રહેશે, તેનું આપણને ગૌરવ છે તેમ પણ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રજાસત્તાક પર્વની સૌને શુભકામના પાઠવી અંતમાં કહ્યું કે મને આ કથામાં સહભાગી કરવા બદલ કથાના આયોજક પરિવારનો આભાર માની કથામાં આરતી દર્શન કર્યા અંગે ધન્યતાની લાગણી અનુભવી હતી.
અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રામ-કથા પ્રસંગે આરતીમાં મુખ્યમંત્રીશ્રી સાથે તેમના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ શ્રી રઘુરામ બાપા , તેમના બહેન શીલાબેન તેમજ પરિવારજનો અગ્રણીઓ સેવકો અને સૌરાષ્ટ્રના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી જલારામબાપાના મંદિરે દર્શન કરી સેવકોની સાથે સદાવ્રત પ્રસાદમા પણ સહભાગી થયા હતા.