G7માં નિમંત્રણ ના અપાયું એ સરકારની કૂટનીતિની વધુ એક નિષ્ફળતાઃ કોંગ્રેસ

ભારત-પાક. યુદ્ધમાં અમેરિકાની મધ્યસ્થતાના સ્વીકાર બાદ સરકારનો વધુ એક છબરડો
કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી જી૭ દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે
નવી દિલ્હી,કેનેડામાં યોજાનારી G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ નહીં અપાતા કોંગ્રેસે સરકારની વિદેશ નીતિને નિષ્ફળ ગણાવી આકરા પ્રહારો કર્યાં હતાં. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાને મધ્યસ્થીની તક આપ્યાં બાદ કૂટનીતિ મામલે સરકારનો આ બીજો મોટો છબરડો છે.કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, G7 સમિટમાં અમેરિકા, ળાંસના રાષ્ટ્રપ્રમુખો, યુકે, જાપાન, ઈટાલી તથા કેનેડાના વડાપ્રધાન ઉપરાંત જર્મનીના ચાન્સેલર ભાગ લઈ રહ્યાં છે. આ ઉપરાંત બ્રાઝિલ, મેક્સિકો, દ. આફ્રિકા તથા યુક્રેનના રાષ્ટ્રપતિ તથા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ૨૦૧૪ અગાઉ ઘણાં વર્ષાે સુધી G7 વાસ્તવમાં જી૮ હતી, જેમાં રશિયા સામેલ હતું.
આ સમિટમાં ડો. મનમોહન સિંહને પણ આમંત્રણ અપાતું હતું અને તેમની વાત સાંભળવામાં આવતી હતી. ૨૦૧૪ પછી પણ ભારતીય વડાપ્રધાનોને આમંત્રણ આપવાની પરંપરા ચાલુ રહી હતી, પરંતુ છ વર્ષમાં પ્રથમ વખત ‘વિશ્વગુરૂ’ આ સમિટમાં હાજર નહીં રહે. આ બાબતને ગમે તે રીતે દર્શાવવાનો પ્રયાસ કરો પણ વાસ્તવિકતા એ છે કે, ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અમેરિકાની મધ્યસ્થીનો સ્વીકાર કરી યુદ્ધવિરામ કર્યા બાદ કૂટનીતિ મામલે સરકારનો આ બીજો મોટો છબરડો છે. કેનેડાના અલ્બર્ટામાં આવતા મહિને યોજાનારી G7 દેશોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા નહીંવત છે. છ વર્ષમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદી G7 સમિટમાં ગેરહાજર રહે તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
કેનેડાએ હજી ભારતના વડાપ્રધાનને નિમંત્રણ મોકલ્યું નહીં હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, બંને દેશો વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી વણસેલાં સંબંધોને પગલે, જો કદાચ નિમંત્રણ મોકલાયું હોત તો પણ તેઓ તેમાં હાજર રહેવાનું ટાળત.SS1