PM મોદી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચી પરિસ્થિતિની જાણકારી મેળવી

નવી દિલ્હી/અમદાવાદ, તારીખ ૧૩ જૂન – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી. ગુરુવારે બનેલી આ ભયાવહ દુર્ઘટનામાં ૨૪૧ લોકોનું મૃત્યુ થયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરિસ્થિતિનો જાયજો લેવા માટે અમદાવાદ પહોંચ્યા અને સીધા એરપોર્ટથી દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ ઉપરાંત તેઓ હોસ્પિટલમાં ઘાયલ લોકો અને સારવાર આપતા ડોક્ટરો સાથે વાત કરી.
તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહનનાઈડુ કિંજરાપુ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ હાજર હતા. PM Modi visits #Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 #planecrash Gujarat CM Bhupendra Patel, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu, Union MoS Murlidhar Mohol and State Home Minister Harsh Sanghavi are also present.
#WATCH | PM Modi visits #Ahmedabad Civil Hospital to meet those injured in AI-171 #planecrash
Gujarat CM Bhupendra Patel, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu, Union MoS Murlidhar Mohol and State Home Minister Harsh Sanghavi are also present.… pic.twitter.com/JGeUWCnXf4
— DD India (@DDIndialive) June 13, 2025
એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭-૮ ડ્રીમલાઈનર વિમાન ૨૪૨ લોકો સાથે ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા તરત જ ક્રેશ થયું હતું. અમદાવાદથી લંડન ગેટવિક જતી AI-171 ફ્લાઈટ BJ મેડિકલ કોલેજ નજીકના રહેણાંક વિસ્તારમાં પડી હતી. વિમાનમાં ૨૩૦ મુસાફરો, ૧૦ ક્રૂ મેમ્બર અને ૨ પાઈલટ હતા. આ દુર્ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિ – સીટ નંબર ૧૧A પરનો મુસાફર – બચી ગયો છે. આ વ્યક્તિ ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક છે અને હાલ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં વડાપ્રધાનશ્રીની સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યા સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રીએ દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી. આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનશ્રીએ લીધી હતી. અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો પાસેથી દર્દીઓની હાલની સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને વરિષ્ઠ સચિવશ્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહનનાઈડુએ જાહેરાત કરી છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને આ તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. આ તપાસ આંતરરાષ્ટ્રીય સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO)ના આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર કરવામાં આવશે. સરકાર વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની બનેલી ઉચ્ચ સ્તરીય સમિતિ પણ બનાવશે જે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ઉડ્ડયન સુરક્ષાને મજબૂત બનાવવા માટે કામ કરશે.
PM મોદીએ ગુરુવારે તેમના X હેન્ડલ પર દુઃખ વ્યક્ત કર્યું હતું: “અમદાવાદની આ ત્રાસદીએ આપણને સ્તબ્ધ અને દુઃખી કર્યા છે. આ શબ્દોથી વર્ણવી ન શકાય તેવું હૃદયવિદારક છે. આ દુઃખની ઘડીમાં મારા વિચારો અસરગ્રસ્ત દરેક વ્યક્તિ સાથે છે. મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને અસરગ્રસ્તોને મદદ કરવાનું કામ ચાલુ છે.”
આ દુર્ઘટનાને ભારતીય ઉડ્ડયન ઇતિહાસની સૌથી ખરાબ આપત્તિઓમાંની એક ગણવામાં આવી રહી છે. વિમાનના કોકપિટ વૉઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) ફ્લાઇટની અંતિમ ક્ષણોને પુનઃનિર્માણ કરવા માટે તપાસકર્તાઓ માટે મહત્વપૂર્ણ છે. વિમાને દુર્ઘટના પહેલા ડિસ્ટ્રેસ કોલ પણ આપ્યો હતો.