રાજ્યના ૧૮ જળાશયો હાઈએલર્ટ પર: ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાયા

File Photo
અમદાવાદ, ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના ૨૦૬ જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને ૪૬.૨૧ ટકા થઈ ગયું છે. હાલ રાજ્યના ૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, જ્યારે કુલ ૧૮ જળાશયો હાઈએલર્ટ પર છે. વર્ષ ૨૦૨૪માં ૨૮ જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર ૩૮.૨૪ ટકા હતું.
ગુજરાતભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. અને છેલ્લા બે દિવસથી તો આકાશમાં ઘનઘોર વાદળો ગોરંભાતા સૂર્યનારાયણના દર્શન પણ થઈ શક્યા નથી. રાજયામાં સારા વરસાદને લીધે તમામ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પણીની આવક વધી છે. ઉપરવાસમાંથી ૫૪૦૩૨ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવાનીરની આવક થઈ છે.. હાલમાં નર્મદા ડેમની સપાટી ૧૧૮.૦૮ મીટર છે. પાણી આવક થતા ઝ્રૐઁૐ ૧ અને ઇમ્ઁૐ ના ૪ પાવર હાઉસ ચાલુ થયા હતા. પાવર હાઉસ ચાલુ થતા નિગમને કરોડો રૂપિયાની આવક થઈ હતી. નર્મદાની મેન કેનાલમાં ૧૨૨૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે.
રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ , ગુજરાતના જે જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે, તેમાં અમરેલીના ધાતરવાડી-સુરજવાડી, ભાવનગરના રોજકી-બગડ, બોટાદના ગોમા-ભીમડાદ, દાહોદના કાલી-૨, જામનગરના વાગોડિયા, કચ્છના કાલાઘોઘા, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભોગાવો ૧-સુબરી, તાપીના દોસવાડાનો સમાવેશ થાય છે.
હાલની સ્થિતિ પ્રમાણે ૩૧ જળાશયો ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૫ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા, ૫૯ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા ભરાયેલા છે. જ્યારે ૬૮ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું છે. રિજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી ૧૦, મધ્ય ગુજરાત-દક્ષિણ ગુજરાત-કચ્છમાંથી ૧-૧ જળાશય સંપૂર્ણ ભરાયેલા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ ૧૬,૪૬૫૦ મિલિયન ક્યુબિક છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૪૯.૨૮ ટકા જેટલી છે.
અમદાવાદમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૨૪ ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે છેલ્લા ૧૦ વર્ષ કરતાં પણ વધુના સમયમાં સૌથી વધુ છે. વર્ષ ૨૦૨૪માં ૨૮ જૂન સુધી અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૪.૭૪ ટકા વરસાદ પડ્યો હતો.