Western Times News

Gujarati News

જાહેર સ્થળો, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલમાં ડોગની સમસ્યા માટે નોડલ ઓફિસર નિમાશે

અમદાવાદ, શહેરના જાહેર સ્થળો તથા શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ રખડતા કૂતરાની સમસ્યાને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આ જગ્યાઓ પર રખડતા કૂતરાઓને લઈને નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનની તમામ મિલકતોમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવા માટે સુચના આપવામાં આવી છે.

જ્યારે અન્ય સંસ્થાઓએ પણ એક સપ્તાહમાં નોડલ ઓફિસરની નિમણુકની કાર્યવાહી પુર્ણ કરવાની રહેશે. સંસ્થાઓમાં કામ કરતી સિક્યોરીટીએ રખડતા કૂતરા પ્રવેશે નહીં તે જોવાની જવાબદારી નિભાવવાની રહેશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશન દ્વારા રખડતા કૂતરાને લઈને પરિપત્ર કર્યાે છે. જેમાં જાહેર સ્થળો જેવા કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ મોટી હોસ્પિટલો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર નોડલ ઓફિસરની નિમણૂક કરવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા રખડતાં કૂતરાની સમસ્યાને લઈ નોડલ ઓફિસરને કામગીરી અંગેની તાલીમ પણ આપવામાં આવશે. સંસ્થાઓમાં કોઈપણ જગ્યાએ પ્રીમાઇસીસમાં કચરો નાખવામાં ન આવે, સંસ્થાને ચારે તરફથી દિવાલથી કવર કરેલી હોવી જોઈએ, સંસ્થામાં કેટલા ડસ્ટબિન રાખવામાં આવેલા છે, અગાઉ કૂતરા કરડવાનો બનાવ બનેલો છે કે કેમ તેની પણ વિગતો નોડલ ઓફિસરે આપવાની રહેશે.

સીએનસીડી વિભાગના વડા નરેશ રાજપુતે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ એસઓપી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં શહેરી વિસ્તારમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક સંસ્થા, રેલવે સ્ટેશન પ્રકારની પ્રિમાઈસીસને આઈડેન્ટિફાઈ કરવાની અને નોડલ ઓફિસરની નિમણૂક કરવાનો આદેશ કરાયો છે. જે અંતર્ગત કોર્પાેરેશનની પ્રિમાઈસીસીમાં નોડલ ઓફિસરની નિમણૂક માટે પરિપત્ર કરાયો છે.

નોડલ ઓફિસરને તાલીમ પણ આપવામાં આવશે. હાલમાં પ્રિમાઈસીસની ઓળખ કરી તકેદારીના પગલા લેવામાં આવશે અને ત્યારબાદ કૂતરાનો ત્રાસ દુર કરવા માટે કાર્યવાહી કરાશે.

આગામી દિવસોમાં કોર્પાેરેશન દ્વારા ડોગને રાખવા માટેની વ્યવસ્થા ઉભી થયા બાદ ડોગ ખસેડવાની કાર્યવાહી પણ કરાશે. જો કોઈ સંસ્થા દ્વારા નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં નહીં આવે તો નોટિસ આપીને પણ ફરજિયાત નિમણૂક કરાવાશે.શહેરના પાલડી વિસ્તારમાં ફરી એકવાર રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે.

થોડા દિવસ પહેલા પાલડીમાં એક સોસાયટીમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા એક મહિલાને કુતરો કરડ્યો હોવાન ઘટના સામે આવી હતી. ત્યારબાદ હવે આ જ વિસ્તારમાં ફરી કુતરો કરડ્યો હોવાની વિગતો સામે આવી છે. પાલડીમાં રત્ન રુચિકા વાટિકા નામની સોસાયટીમાં લોકોને કૂતરા કરડ્યા હોવાની ઘટના સામે આવી છે. લગભગ ત્રણ લોકોને કુતરો કરડ્યો હોવાથી તેમને સારવાર લેવાની ફરજ પડી હતી.

ત્રણ કૂતરાઓ કરડ્યા હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પાેરેશનના સીએનસીડી વિભાગ દ્વારા સોસાયટીમાં કૂતરાને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક કૂતરાને પકડી પાડવામાં આવ્યો હતો.હાલમાં શહેરમાં ૨ લાખ કરતા વધુ કૂતરાઓ હોવાની વિગતો સામે આવી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં શહેરમાં ૩ લાખ કરતા વધુ લોકોને કૂતરા કરડ્યા હોવાની વિગતો સામે આવી છે. હાલમાં કૂતરાના ખસીકરણની કામગીરી માટે બે ટીમો કાર્યરત હોવાનું જાણવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.