બિહાર ચૂંટણીના પરિણામોને પડકરાતી પ્રશાંત કિશોરની અરજી સુપ્રીમે ફગાવી
લોકોએ નકારી દીધા એટલે કોર્ટનો ઉપયોગ કરી રહ્યા છોઃ સુપ્રીમની ટકોર
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ ૨૪૩ પૈકી ૨૪૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતાં, પરંતુ એક પણ બેઠક મળી નહોતી
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે ૬ ફેબ્›આરી, શુક્રવારે રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર દ્વારા સ્થાપિત જન સુરાજ પાર્ટીની અરજીની સુનાવણી કરવાનો ઈનકાર કર્યાે છે. આ અરજીમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકાર્યા હતા. જન સુરાજ પાર્ટીએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યાે હતો કે સરકારે મતદાતાઓને લોભાવવા માટે કલ્યાણકારી યોજનાઓનો દુરુપયોગ કર્યાે હતો.
પાર્ટીએ ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ થયાનો હવાલો આપીને ફરીથી ચૂંટણી યોજવાની માંગ કરી હતી.આ મામલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જાયમાલ્યા બાગચીની બેન્ચે ચૂંટણી હાર્યા બાદ ન્યાયિક મંચનો સહારો લેવાની કોશિશ કરવા બદલ પ્રશાંત કિશોરની પાર્ટીને ટકોર કરી હતી. ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ ૨૪૩ પૈકી ૨૪૨ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતાં, પરંતુ એક પણ બેઠક મળી નહોતી.
સુપ્રીમે પ્રશાંત કિશોરને પૂછ્યું કે, “તમારી પાર્ટીને કેટલા મત મળ્યા? જ્યારે લોકો નકારી દે છે, ત્યારે તમે લોકપ્રિયતા મેળવવા માટે કોર્ટનો સહારો લો છો.” આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈ રાજકીય પક્ષના કહેવા પર આખા રાજ્યની ચૂંટણી રદ્દ કરવાનો આદેશ આપી શકાય નહીં. ss1
