હોટલો દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી
પ્રતિકાત્મક
રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ કે ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં.
(એજન્સી)નવી દિલ્હી, વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટ વચ્ચે દેશની હોટલો અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ સામે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે.
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળએ આ પ્રકારની વસૂલાતને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ ગણાવીને તેના પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી છે. ડીપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, હવેથી કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં ‘LPG ચાર્જ’, ‘ગેસ સરચાર્જ’ કે ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ જેવા વધારાના શુલ્ક ઉમેરી શકશે નહીં.
LPGએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૧૦ હેઠળ નવી એડવાઈઝરી જાહેર કરતા નિર્દેશ આપ્યો છે કે, આવા કોઈ પણ ચાર્જ ઓટોમેટિક કે ડિફોલ્ટ રીતે વસૂલી શકાશે નહીં.
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોટ્ર્સના આધારે જાણવા મળ્યું હતું કે, કેટલીક હોટલો મેનૂ કાર્ડમાં દર્શાવેલી કિંમતો અને ટેક્સ ઉપરાંત અલગથી ગેસ ચાર્જ વસૂલી રહી હતી. સરકારનું માનવું છે કે આનાથી પારદર્શકતાનો અભાવ સર્જાય છે અને ગ્રાહકો પર આર્થિક બોજ વધે છે. જો કોઈ હોટલ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
સરકારે સ્પષ્ટતા કરી છે કે ઈંધણ, વીજળી કે અન્ય ઓપરેશનલ ખર્ચ એ વ્યવસાય ચલાવવાનો જ એક ભાગ છે. આ ખર્ચને અલગથી વસૂલવાને બદલે તેને મેનૂમાં આપેલી વાનગીઓની કિંમતમાં જ સામેલ કરવા જોઈએ.
ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ ૨(૪૭) મુજબ અલગથી ચાર્જ લેવો એ ગેરકાયદેસર છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે મેનૂમાં દર્શાવેલી કિંમત જ અંતિમ કિંમત હોવી જોઈએ, જેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ જ અલગથી ઉમેરી શકાય છે.
