કર્ણાટક મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી બાદ કોંગ્રેસ સરકારની અંદરનો અસંતોષ બહાર આવ્યો
કર્ણાટક મુખ્યમંત્રી બનતાં જ D K શિવકુમારને મોટો ઝટકો
બેંગ્લુરુ, કર્ણાટક મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી બાદ કોંગ્રેસ સરકારની અંદરનો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી ગયો છે. વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ શુક્રવારે મંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.
તેમણે જણાવ્યું કે તેમને જે વિભાગનું વચન આપવામાં આવ્યું હતું તે મળ્યું નથી, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. રામલિંગા રેડ્ડીએ જોકે સ્પષ્ટ કર્યું હતું કે તેમનું આ પગલું પક્ષ વિરોધી નથી.
તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જ રહેશે અને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પોતાની જવાબદારીઓ નિભાવતા રહેશે.વિભાગોની ફાળવણીના એક દિવસ બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં રામલિંગા રેડ્ડીએ કહ્યું કે તેઓ કોઈ વ્યક્તિથી નારાજ નથી, પરંતુ તેમણે પોતાના આત્મસન્માન માટે આ નિર્ણય લેવો પડ્યો છે. તેમણે જણાવ્યું કે તેમણે પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના અગ્ર સચિવને એક સહયોગીના માધ્યમથી મોકલી આપ્યું છે.
