ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવ્યો
૧૬ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી
નવી દિલ્હી, ફ્રાન્સના એવિયનમાં G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સમિટના આઉટરીચ સત્ર દરમિયાન પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા. ૧૬ મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત હતી. જો કે, ટ્રમ્પની સામે PMએ નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઊઠાવતા કહ્યું કે, ભારતીયોએ જીવ ગુમાવવા પડ્યા.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ટેકનોલોજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ શસ્ત્ર તરીકે નહીં, પણ વૈશ્વિક ભલા માટે થશે. વિકાસની તકો થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. વૈશ્વિક સંસ્થાઓ બધા દેશોની આકાંક્ષાઓ પૂરી કરી શકશે.
વિશ્વ યુદ્ધને લઈને પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લી સદીમાં માનવતાને બે વિશ્વયુદ્ધોનો સામનો કરવો પડ્યો. ઘણા બલિદાન પછી વિશ્વ સમુદાયે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે સિસ્ટમો વિકસાવી.
આ સિસ્ટમો પણ વિશ્વાસ પર આધારિત હતી, પરંતુ ઘણી પેઢીઓના યોગદાન દ્વારા દાયકાઓથી બનેલો વિશ્વાસ પ્રભાવિત થઈ રહ્યો છે. કોવિડે આપણને બતાવ્યું છે કે, વિશ્વાસ અને એકતાના દાવા કેટલા પોકળ હતા. આજની દુનિયા સંસાધનોની અછત સાથે નહીં, પરંતુ વિશ્વાસના અભાવ સાથે સંઘર્ષ કરી રહી છે અને આપણી ભાગીદારીનું ભવિષ્ય આ વિશ્વાસ પર નિર્ભર છે.
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસ ભારતીય નાવિકોના મોત અંગે કડક વલણ અપનાવતા કહ્યું, અમે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષથી પશ્ચિમ એશિયામાં આપણા મિત્ર દેશો માટે જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થયું છે.
ઘણા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા નાવિકોની સુરક્ષા આપણી જવાબદારી છે. આપણે ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો ભય વિના પોતાનું કાર્ય કરી શકે. તત્કાલીન યુએસ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગન કહેતા હતા, વિશ્વાસ કરો પણ ચકાસો. આ વાત આજે પણ સુસંગત છે. નવા યુગમાં વિશ્વાસ બનાવવાની આપણી ભાવિ પેઢીઓ પ્રત્યે જવાબદારી છે.
