Western Times News

Gujarati News

ટ્રમ્પના લીધે ભારત-અમેરિકાના સંબંધો ૩૦ વર્ષના તળિયે : રો ખન્ના

ભારતીય-અમેરિકન સેનેટર રો ખન્નાનું નિવેદન

ટ્રમ્પના પોલિસીઓના લીધે ઇરાન સાથે વિનાશક યુદ્ધ થયુ. તેના કારણે ભારતના ગેસના ભાવ પર વિપરીત અસર પડી

વોશિંગ્ટન,અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિનાશક નીતિઓના કારણે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ ૩૦ વર્ષના તળિયે પહોંચી ગયા છે, એમ ભારતીય અમેરિકન કોંગ્રેસમેન રો ખન્નાએ જણાવ્યું છે.વોશિંગ્ટનમાં લીડરશિપ સમિટમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી ફોરમમાં બોલતા ખન્નાએ સોમવારે દાવો કર્યાે હતો કે તાજેતરની ચીનની મુલાકાતમાં ભારતીય રાજદૂતે તેમને જણાવ્યું હતું કે ટ્રમ્પની નીતિઓના કારણે વિશ્વાસનો સેતુ તૂટી ગયો છે.

હું જરા પણ શબ્દો ચોર્યા વગર જણાવું છું કે ભારત-અમેરિકા સંબંધ ૩૦ વર્ષના તળિયે પહોંચી ગયા છે.ટ્રમ્પના પોલિસીઓના લીધે ઇરાન સાથે વિનાશક યુદ્ધ થયુ. તેના કારણે ભારતના ગેસના ભાવ પર વિપરીત અસર પડી. જો તમને માન્યમાં ન આવે તો ભારતના વિદેશપ્રધાન એસ જયશંકર સાથે વાત કરજો, એમ તેમણે ઉમેર્યુ હતુ.હું ચીન હતો ત્યારે ભારતીય રાજદૂતે મને જણાવ્યું હતું કે પ્રમુખ ટ્રમ્પના લીધે અમેરિકાએ પેઢીઓથી મેળવેલો વિશ્વાસ ગુમાવ્યો છે.

જો અમે પ્રમુખના કારણે થયેલા નુકસાન અંગે બોલી ન શકીએ તો તેનો અર્થ એમ થાય કે અમે વાસ્તવિકતામાં જીવતા નથી, એમ ૨૦૨૮ના પ્રમુખપદના આશાસ્પદ ખન્નાએ જણાવ્યું હતું. તેમણે ઇરાન પર હુમલો કરવાની અને ક્યુબાને ધમકી આપવાની તથા ગ્રીનલેન્ડને જીતવાની ટ્રમ્પની પોલિસીઓની પણ ઝાટકણી કાઢી હતી.તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ એકબાજુએ અમેરિકાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફઇલ્ડમાં આગેવાન થવાની વાત કરે છે.

હવે ટોચના ૩૮ ટકા એઆઈ રિસર્ચર ચાઇનીઝ મૂળના છે, ૭૨ ટકા પાસે વિદેશી ડિગ્રીએ છે. હવે આ જ ટ્રમ્પ બીજી બાજુએ ઇમિગ્રન્ટને હાંકીને કાઢી રહ્યા છે. એચ-૧બી વિઝા ખતમ કરવાની વાત કરી રહ્યા છે. અમેરિકામાં વિદેશી પ્રતિભાને આવતી રોકી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકા એઆઈ મોરચે આગેવાન કઈ રીતે થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો કે નવેમ્બરમાં યોજનારી આગામી મિડ ટર્મ ચૂંટણી ડેમોક્રેટ જીતશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.