Western Times News

Gujarati News

દુબઈમાં બર્થડે ટ્રીપ દરમિયાન જેસ્મિન ભસીન હોસ્પિટલમાં દાખલ

અભિનેત્રી ગંભીર બીમારીનો થઈ શિકાર!

પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર માન્યો અને બર્થડે વિશનો રિપ્લાય ન આપી શકવા બદલ માફી માગી હતી

મુંબઈ,ટીવી જગતની જાણીતી અભિનેત્રી જાસ્મીન ભસીન તેના બર્થડે વેકેશન દરમિયાન દુબઈમાં હોસ્પિટલમાં દાખલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. જાસ્મીનને ‘ટર્મિનલ આઇલીટીસ’ નામની આંતરડાની ગંભીર બીમારીનું નિદાન થયું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું કે દુબઈ પહોંચતાની સાથે જ તેની તબિયત લથડી હતી, જેના કારણે તેને અતિશય ઇન્ફેક્શન અને સોજાની સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી.

પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર અપડેટ આપતાં જાસ્મીને ચાહકોનો આભાર માન્યો અને બર્થડે વિશનો રિપ્લાય ન આપી શકવા બદલ માફી માગી હતી. આ પૂર્વે તેના પાર્ટનર અને અભિનેતા અલી ગોનીએ પણ જાસ્મીનની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરતી એક ભાવુક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે હવે ધીમે-ધીમે રિકવર થઈ રહી છે.શું છે આ ‘ટર્મિનલ આઇલીટીસ’ બીમારી?તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ‘ટર્મિનલ આઇલીટીસ’ એ નાના આંતરડાના સૌથી છેલ્લા ભાગમાં (જેને ટર્મિનલ આઇલિયમ કહે છે) થતો સોજો કે ઇન્ફેક્શન છે. આ ભાગ નાના આંતરડાને મોટા આંતરડા સાથે જોડે છે.

સામાન્ય રીતે આ સ્થિતિને ક્રોહન્સ ડિસીઝ સાથે જોડવામાં આવે છે, પરંતુ ડોક્ટર્સના મતે તે પોતે કોઈ સ્વતંત્ર રોગ નથી, પરંતુ આંતરડામાં અન્ય સમસ્યાઓ હોવાનો સંકેત છે.પેડુના અથવા પેટના નીચેના જમણા ભાગમાં અસહ્ય દુખાવો થવો, સતત ડાયેરિયા થવા, પેટમાં ચૂંક આવવી, પેટ ફૂલવું, તાવ, થાક લાગવો, ભૂખ ન લાગવી, અચાનક વજન ઘટવું અને કેટલાક કિસ્સાઓમાં ઝાડામાં લોહી પડવું એ આ બીમારીના પ્રારંભિક લક્ષણો છે.આ બીમારીના સચોટ નિદાન માટે તબીબો દર્દીના બ્લડ ટેસ્ટ, સ્ટૂલ ટેસ્ટ, સીટી સ્કેન કે એમઆરઆઈ ઉપરાંત કોલોનોસ્કોપી કરાવવાની સલાહ આપે છે.

જરૂર જણાયે આંતરડાના એ ભાગમાંથી બાયોપ્સી પણ લેવામાં આવે છે.આ રોગની સારવાર તેના મૂળ કારણ પર આધાર રાખે છે. જો સમસ્યા ઇન્ફેક્શનના કારણે હોય તો એન્ટિબાયોટિક્સ દવાથી રાહત થાય છે. પરંતુ જો ક્રોહન્સ ડિસીઝ જવાબદાર હોય, તો સોજો ઓછો કરવાની દવાઓ, સ્ટેરોઇડ્‌સ અથવા ઇમ્યુનોસપ્રેશન્ટ્‌સ આપવામાં આવે છે. પેઇન કિલર્સના કારણે થયેલી તકલીફમાં દવાઓ બંધ કરવાથી સુધારો થાય છે, જ્યારે અત્યંત ગંભીર પરિસ્થિતિમાં સર્જરીની પણ કરવી પડી શકે છે. તબીબોના મતે પેટના દુખાવા કે પાચનની સમસ્યાને ક્યારેય સામાન્ય ગણીને અવગણવી જોઈએ નહીં.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.