ઘરે આવી 80 વર્ષીય લકવાગ્રસ્ત મહિલાનું આધાર બાયોમેટ્રિક કરાયુંઃ મળી મોટી રાહત
હિંમતનગર મામલતદાર કચેરીએ સંવેદનશીલ અભિગમ -સંવેદનશીલ શાસનનું જીવંત ઉદાહરણ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા શ્રી વિપુલ સાંખલાની ૮૦ વર્ષીય માતા શ્રીમતી શારદાબેન સાંખલા છેલ્લા ૧૨ વર્ષથી પેરાલિસિસના કારણે સંપૂર્ણપણે બેડરિડન છે.
તેમની શારીરિક સ્થિતિને કારણે તેઓ કોઈપણ સરકારી કચેરી કે આધાર કેન્દ્ર સુધી જઈ શકતા ન હતા. પરિવારને જિલ્લા તિજોરી કચેરી ખાતે સિનિયર સિટિઝન કાર્ડ અને હેલ્થ કાર્ડની પ્રક્રિયા માટે આધાર બાયોમેટ્રિકની જરૂર હતી. પરંતુ શારદાબેનની સ્થિતિને ધ્યાનમાં લેતા આ પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યંત મુશ્કેલ હતી.
આ બાબતની જાણ થતાં હિંમતનગર મામલતદાર કચેરીએ સંવેદનશીલ અભિગમ અપનાવી હોમ એનરોલમેન્ટની વ્યવસ્થા કરી. સુપરવાઈઝર શ્રી શાહિદ મન્સુરી અને ઓપરેટર શ્રી દીપક પરમાર જરૂરી સાધનો સાથે શારદાબેનના નિવાસસ્થાને પહોંચ્યા
અને તમામ નિયમોનું પાલન કરીને સફળતાપૂર્વક બાયોમેટ્રિક નોંધણીની કામગીરી પૂર્ણ કરી. આ સેવાથી પરિવારને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડ્યા નહીં અને વૃદ્ધ તથા બેડરિડન મહિલાને ઘરઆંગણે જ જરૂરી સેવા મળી. હવે સિનિયર સિટિઝન કાર્ડ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ સરળતાથી આગળ વધી શકશે.
શ્રી વિપુલ સાંખલાએ રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને હિંમતનગર મામલતદાર કચેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “મારી માતાની હાલતને કારણે આધાર બાયોમેટ્રિક કરાવવું લગભગ અશક્ય લાગતું હતું. પરંતુ સરકારી કર્મચારીઓ જાતે ઘરે આવી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરતાં અમારી મોટી ચિંતા દૂર થઈ. આ ખરેખર સંવેદનશીલ અને જનકેન્દ્રિત શાસનનું ઉત્તમ ઉદાહરણ છે.”
આ દર્શાવે છે કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર માત્ર યોજનાઓ બનાવવામાં જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ નાગરિકોના ઘર સુધી સેવાઓ પહોંચાડવામાં પણ પ્રતિબદ્ધ છે. સંવેદના, સેવા અને સુશાસનના આ અભિગમથી અંતિમ વ્યક્તિ સુધી સરકારી સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે.
