Western Times News

Gujarati News

ગુજરાતમાં બે વર્ષોમાં ૧૩૮ સિંહના મોત થયાની સરકાર તરફથી કબુલાત

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં બે વર્ષમાં ૧૩૮ સિંહ અને ૧૨૩ સિંહબાળના મોત નીપજયા હોવાની સંવેદનશીલ માહિતી આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં ખુદ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં સિંહ, સિંહબાળ, દીપડા અને દીપડાના બચ્ચાના મૃત્યુ મુદ્દે ખંભાળિયા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો.


જેના જવાબમાં રાજ્ય સરકારના વન મંત્રીએ વન્ય પ્રાણીઓના મૃત્યુ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સિંહ , સિંહ બાળ, દીપડા અને દીપડાના બચ્ચાના મૃત્યુની અલગ અલગ ઘટનાઓમાં કુલ ૧૩૮ સિંહના મૃત્યુ થયા છે. જેમાં ૨૦૧૮માં ૫૯ સિંહ અને ૨૦૧૯માં ૭૯ સિંહોના મૃત્યુ નોંધાયા હોવાનો સ્વીકાર કર્યો હતો. જેને લઇ વિપક્ષ કોંગ્રેસે ગુજરાતમાં સાવજના જીવ જોખમમાં હોવાનો અને ભાજપ સરકાર સિંહોના રક્ષણ અને સંવર્ધનમાં નિષ્ફળ ગઇ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. સરકાર તરફથી ગૃહમાં નિખાલસપણે એકરાર કરવામાં આવ્યો હતો કે, રાજયમાં છેલ્લા બે વર્ષમાં સિંહ બાળ ૧૨૩ મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ સિંહ બાળના મૃત્યુ ૬૯ વર્ષ ૨૦૧૯માં થયાનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે ૨૫૦ દીપડા અને ૯૦ દીપડાના મૃત્યુ છેલ્લા બે વર્ષમાં નોંધાયા હોવાની કબૂલાત વન મંત્રીએ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં દીપડાના બચ્ચાના એક સરખી સંખ્યા એટલે કે વર્ષ ૨૦૧૮માં ૪૫ અને ૨૦૧૯માં પણ ૪૫ દીપડાના બચ્ચા મૃત્યુ થયાનો સ્વીકાર કર્યો હતો.

જ્યારે અકુદરતી રીતે ૧૧ સિંહ, ૬ સિંહ બાળ, ૭૯ દિપડા અને ૧૬ દીપડાના બચ્ચાના અકુદરતી મૃત્યુ થયાનો સ્વીકાર વન મંત્રીએ કર્યો હતો. તેમણે સરકારનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના વન વિભાગે વન્ય પ્રાણીઓના અકુદરતી મૃત્યુની ઘટના રોકવા તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિમણૂક કરી છે, જ્યારે વન્ય પ્રાણી મિત્રોની નિમણૂકની સાથે સાથે પ્રાણીઓ ટ્રેકરોની નિમણુકો કરવામાં આવી છે.

આ ઉપરાંત જંગલમાં આવેલા કુવાઓના ફરતે વાડ બનાવવામાં આવી છે જ્યારે રેલવે લાઈનની આજુબાજુના ફેંસિંગ અને વન વિસ્તાર અને અભિયારણ વિસ્તારમાંથી પસાર થતાં રસ્તાઓ ઉપર સ્પીડ બ્રેકરો મુકવામાં આવ્યા છે. જ્યારે સાસણ ખાતે અદ્યતન હોસ્પિટલ તથા લાયન એમ્બ્યુલન્સ કાર્યરત થઈ છે. જ્યારે સ્ટાફને વોકિટોકી ફાળવી વિવિધ આયોજનો અને પગલાં લેવામાં આવી રહ્યાનો સ્વીકાર કર્યો હતો.

ગુજરાતમાં સાવજના જીવ જોખમમાં હોવાનો અને ભાજપ સરકાર સિંહોના રક્ષણ અને સંવર્ધનમાં નિષ્ફળ ગઇ હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે, રાજયમાં સિંહોના રક્ષણ, તેમના સંવર્ધન અને સારવાર અંગે ખુદ ગુજરાત હાઇકોર્ટે જાહેરહિતની રિટમાં રાજય સરકાર સહિતના સંબંધિત સત્તાવાળાઓને મહત્વના નિર્દેશો જારી કરેલા છે પરંતુ તેમછતાં રાજય સરકાર તેનું પાલન કરવામાં સરેઆમ નિષ્ફળ રહી છે, જે બહુ જ ગંભીર બાબત કહી શકાય. ગિર સોમનાથ ૨૦૧૮માં ૨૫, ૨૦૧૯માં ૨૮ નાગરિકો પર હુમલા થયા હતા આ હુમલાના પરિણામે માનવ ઈજાની સંખ્યા અનુક્રમે ૨૩ અને ૨૫ નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.