લોકડાઉનમાં શ્રમિકોને વહારે થવાનું બહાનું બનાવી ક્રોગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતી કરવાનું બંધ કરે : ગૃહ મંત્રી

• ક્રોગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાજ્યસભાના સભ્ય શ્રી અહેમદ પટેલના ઇશારે ભરૂચ જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ દ્વારા ભરૂચ જીલ્લાની મદરેશામાં ભણતા ૮૫૦ વિદ્યાર્થીઓના રૂા. ૬.૩૭ લાખ ભરૂચ જિલ્લા ક્રોંગ્રેસે ભોગવ્યા
• કોરોનાની મહામારીમાં ક્રોંગ્રેસે માનવીય સૌજન્ય ભુલીને અરાજકતા ફેલાવવાના આશયથી માત્રને માત્ર તબલીગી, મદ્દરેસા અને રમજાનમાં છુટછાટની માંગણી સાથે કોમવાદી માનસિકતા છતી કરી
• રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પૂરતી સંવેદનાથી ૪ લાખ શ્રમિકોને માદરે વતન પહોંચાડ્યા : ક્રોંગ્રેસે આ પૈકી ૪૦ હજારનું પણ ભાડું ચુકવ્યું હોય તો રસીદો દેખાડે
• ક્રોંગ્રેસ દ્વારા આ રીતે હલકી કક્ષાનું રાજકારણ કરી કોરોનાની મહામારીમાં માનવતા કે સૌજન્યતા દાખવવાના બદલે માત્ર અરાજકતા ફેલાવવાનું નિંદનીય કૃત્ય
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં વસતા પરપ્રાંતિયોને મદદરૂપ થવાના બહાના હેઠળ ગુજરાત કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતી કરવાનું બંધ કરે. શ્રમિકોને ગેરમાર્ગે દોરીને ગુજરાતની શાંતિ હણવાનો પ્રયાસ કરાશે તો તેને સાંખી લેવાશે નહીં.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે ભરૂચ જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ દ્વારા મદ્દરેસામાં ભણતા ૮૫૦ પરપ્રાંતિય વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસ અધ્યક્ષાશ્રી સોનીયા ગાંધી અને રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદ પટેલના ઇશારે શ્રમિકોને માદરે વતન જવા સારૂ માટેનું રૂા. ૬,૩૭,૫૦૦ ભાડું ચુકવી તેની કોમવાદી માનસિકતા છતી કરી છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૪ લાખથી વધુ પરપ્રાંતિયોને તેમના માદરે વતન પહોંચાડી દીધા છે. અને આ કામગીરી હજુ પણ પુર જોશમાં ચાલી રહી છે. ક્રોંગ્રેસે આ પૈકી ૪૦ હજાર લોકોનું પણ ભાડુ ચુકવ્યું હોય તો રસીદો બતાવે. માત્રને માત્ર ગુજરાતમાં અરાજકતા ફેલાવવાના આશયથી તબલીગી, મદ્દરેસાઓ અને રમજાન માસમાં છુટ છાટની માંગણી સાથે કોમવાદી માનસિકતા છતી કરીને પરપ્રાંતિયોને ગેરમાર્ગે દોરવાનું તેમણે બંધ કરવું જોઇએ.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે રામનવમી, હનુમાન જયંતિ, ચૈત્રી નવરાત્રી જેવા તહેવારો સમયે ક્રોંગ્રેસ બિન સાંપ્રદાયિકતા ભૂલી જાય છે. અને આવા ખેલ કરીને ગરીબ, શ્રમિકના પૈસા ભરવા જેવા બહાનાઓ બનાવીને મગરના આસું સારે છે તે તેને શોભતું નથી. કોમવાદી નીતીને વળગી રહેલી કોંગ્રેસ આજે દેશ ભરમાં કોરોનાનું સંક્રમણ થઇ રહ્યું છે તેને રોકવા માટે મદદ કરવાના બદલે રાષ્ટ્રિય સ્તરેથી છેક રાજ્ય કક્ષા સુધી રાજનીતી કરવામાં આવી રહી છે તે અત્યંત નિંદનીય છે. ભરૂચ જિલ્લામાં અસંખ્ય મદ્દરેસાઓ કાર્યરત છે જેમાં કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે એ આપણે સૌ જાણીએ છીએ. એટલે રાજ્યના નાગરિકો તથા શ્રમિકોએ જાણી લેવું જોઇએ કે કોંગ્રેસ મદદ કરવા નિકળી છે કે રાજનીતિ કરવા એ જ સમજાતું નથી.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે કોરોનાની મહામારીમાં પ્રજા ભયભીત છે ત્યારે ક્રોંગ્રેસની આ રાજનીતી નાગરિકોની માનસિકતા તોડવાનો કૃત્ય પ્રયાસ પ્રજાને આઘાત લગાડે છે. ક્રોંગ્રેસની નેતાગીરી સત્તા ભૂખની લાલસામાં ભરૂચના શ્રમિકોના બદલે માત્ર મદ્દરેસાના વિદ્યાર્થીઓના પૈસા ભરવા નિકળી છે તે તેમની કોમવાદી માનસિકતા છતી કરે છે.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે લોકડાઉન દરમ્યાન રાજ્યમાં વસતો પ્રત્યેક પરપ્રાંતિય તેમના માદરે વતન પહોંચે તે માટેનું સમયબધ્ધ આયોજન રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ થઇ રહ્યું છે ત્યારે સૌ પરપ્રાંતિયોએ સંયમતાથી ધીરજ રાખીને રાજ્ય વહીવટી તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થામાં સહયોગ આપવો જોઇએ. તેઓએ કોઇનાથી પણ ગેરમાર્ગે દોરવાવવું જોઇએ નહીં.
છેલ્લામાં છેલ્લો પરપ્રાંતિય કે જે વતન જવા ઇચ્છતો હશે તો તેને ગુજરાત સરકાર ચોક્કસ તેને તેના વતન પહોંચાડશે. એટલે તેઓએ ગભરાવવાની જરૂર નથી. લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકારે ગરીબ, વિધવા, બી.પી.એલ. અને એ.પી.એલ. ગ્રાહકોને અનાજ સહિતની સુવિધાઓ વિનામુલ્ય પુરી પાડી છે. અને જરૂરીયાતમંદ લોકોના ખાતામાં રૂા. ૧ હજાર પણ જમા કરાવીને અત્યાર સુધીમાં રૂા. ૬,૨૦૦ કરોડથી વધુ રકમ ગુજરાતના નાગરિકો માટે ખર્ચીને માનવીય સંવેદનાનું અપ્રતિમ કામ કર્યું છે ત્યારે ક્રેાંગ્રેસ આવી બેબુનીયાદ વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોરે નહી તેમ તેમણે ઉમેર્યું હતું.