Western Times News

Gujarati News

૧૦૦ રૂપિયાની નોટમાં દાગીના મુકાવી ચોરી કરી

અમદાવાદ: અમે દુકાન ખરીદી હોવાથી ૧૧૦૦ રૂપિયા અને અગરબત્તી ચઢાવી દો તમારા દાગીના આ ૧૦૦ની નોટમાં મુકો અને અડધો કલાક બાદ પહેરી લેજો” જો આવું કોઈ કહે તો ચેતી જજો અને તાત્કાલિક પોલીસને જાણ કરજો, કારણકે આવી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે. આ ટોળકી આવી વાતો કરી લોકોને ભરમાવે છે અને બાદમાં દાગીના લઈને ફરાર થઈ જાય છે. રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ એક પૂજારીની પત્નીએ આવી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મહિલાના કહેવા મુજબ, બંને શખશો હિન્દીભાષી હતા. ઉલ્લેખનીય છે કે, ગ્રાહકના સ્વાંગમાં આવીને અગાઉ બે ગઠિયાઓએ વાડજમાં એક સોની વેપારીના દાગીના આ જ મોડ્‌સ ઓપરેન્ડીથી સેરવી લીધા હતા. શાહીબાગ પોલીસ કમિશનર કચેરી સામે આવેલી જીવરાજનગર સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષીય મનીષા બહેન પંડયાના પતિ રાણીપ ખાતે એક મંદિરમાં સેવા આપે છે.

બંને પતિ પત્ની રાણીપના ચંદનેશ્વર મહાદેવ મંદિર ગયા હતા. ત્યારે મનિશાબહેન ત્યાં ખુરશી નાખીને બેઠા હતા ત્યારે બે અજાણ્યા લોકો આવ્યા હતા. જેમાના એક શખશે મનીષા બહેનને ૧૧૦૦ રૂપિયા આપ્યા અને અગરબત્તી આપી ભગવાનને ચઢાવવા કહ્યું હતું. બાદમાં પૈસા પરત આપવા મનીષા બહેન આવ્યા ત્યારે આ ગઠિયાઓએ તેમને નવી દુકાનમાં વિધિ કરવાની છે અને માતાજીની માનતા છે

તેમ કહી ૧૦૦ ની નોટમાં દાગીના મુકવાનું કહ્યું હતું. પણ મનીષા બહેન એ ઓળખતા ન હોવાથી મનાઈ કરી તો આ શખસોએ માનતા હોવાનું કહી મનીષા બહેનને ભરમાવ્યા હતા. મનિશાબહેને દાગીના ૧૦૦ની નોટમાં મુક્યા બાદ તે પડીકું તેમને આપ્યું અને એક સફેદ કોથળીમાં તે મૂક્યું હતું. બાદમાં ગઠિયાઓએ કહ્યું કે અડધો કલાક બાદ દાગીના કાઢીને પહેરી લેજો. હજુ તો કઈ સમજે તે પહેલા જ આ બને ત્યાંથી નીકળી ગયા અને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતા મનીષા બહેને તપાસ કરી તો પડીકું ગાયબ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.