પોતાને દેવી માનતા રાધે મા બિગ બોસ ૧૪માં હશે
મુંબઈ: પોતાને દેવીનો અવતાર ગણાવતા રાધે મા બિગ બોસની નવી સીઝનમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાધે મા તરીકે જાણીતા સુખવિંદર કૌર બિગ બોસ ૧૪માં જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર ગત સીઝન માટે પણ રાધે માનો સંપર્ક કરાયો હતો પરંતુ તેમણે હામી ભરી નહોતી.
જો કે, આ વખતે તેઓ બિગ બોસ ૧૪માં જોવા મળી શકે છે. ત્યારે હવે એક્ટર્સ સાથે તેઓનું બોન્ડિંગ કેવું રહેશે તે જોવું રસપ્રદ બની રહેશે. જણાવી દઈએ કે, પંજાબના ગુરુદાસપુરના દોરાંગલા ગામમાં જન્મેલા સુખવિંદર કૌર એટલે કે રાધે માએ નાની ઉંમરે જ આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હતો. જે બાદ તેઓ પોતાની કમાણી જરૂરિયાતમંદોને દાન કરતા હતા. તેમના ઘણા અનુયાયીઓ છે. મીડિયા રિપોર્ટ મુજબ, હાલ તેઓ શ્રી રાધે ગુરુ મા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે.
થોડા સમય પહેલા જ તેમણે પીએમ કેયર ફંડમાં ૧૫ લાખ રૂપિયા દાન કર્યા હતા. જણાવી દઈએ કે, સલમાન ખાન બિગ બોસ ૧૪નો હોસ્ટ છે. આ શો પહેલા સપ્ટેમ્બરમાં ઓન-એર થવાનો હતો પરંતુ હવે ઓક્ટોબરમાં આવશે તેવી ચર્ચા છે. જો કે, હજી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.
શોમાં કયા-કયા સ્પર્ધકો ભાગ લેશે તેને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ, રાધે મા સિવાય આ શોમાં ટીવી એક્ટ્રસ જેસ્મિન ભસીન, નિયા શર્મા, અલય ગોની, નૈના સિંહ જેવા એક્ટર્સ એન્ટ્રી કરશે. તો હાલ ચાલી રહેલી કોરોના મહામારીના કારણે શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. રિપોર્ટ મુજબ, બિગ બોસ ૧૪ જંગલ થીમ પર જોવા મળશે. ઘરને જંગલમાં ફેરવાશે. શોની મુખ્ય હાઈલાઈટ લોકડાઉન પર રહેશે. આ સીઝન ગત સીઝન કરતાં હટકે રહેશે.