Western Times News

Gujarati News

લીમખેડા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત

દાહોદ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી -લીમખેડા તાલુકાના હાથીધરા ગામે યોજાયેલ  જિલ્લા કક્ષાની ઉજવણીમાં ત્રિરંગો લહેરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા
– રાજયના તમામ શહેરોને સી.સી.ટી.વી. કેમેરા નેટવર્કથી સાંકળી લેવા સેફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. ૩૩૦ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી

દાહોદ, દાહોદ જિલ્લામાં ૭૩માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લીમખેડા તાલુકાના હાથીધરા ગામે ગૃહરાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભવ્ય રીતે કરવામાં આવી હતી. દેશભક્તિના રંગે રગાયેલા વાતાવરણમાં નાગરિકોએ પૂરા ઉમંગ ઉત્સાહથી ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ, બિરસા મુંડા જેવા વીર આદિવાસીઓના શહાદતને યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે પોતાના સાર્વભૌમત્વ અને દેશની રક્ષા માટે નામી અનામી ઘણા આદિવાસીઓએ બલિદાન આપ્યા છે. આજે ગુજરાતે સફળતાના સોનેરી શીખરો સર કર્યા છે તેના પાયામાં આવા વીર યુવાનોનું યોગદાન રહેલું છે.


આ પ્રસંગે ગૃહ રાજયમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રાણની આહુતિ આપનારા અનેક નામી અનામી શહીદોને યાદ કર્યા હતા અને વડાપ્રધાન શ્રી નરેન્દભાઇ મોદીએ લીધેલા કલમ ૩૭૦ નાબુદીના નિર્ણયને ઐતિહાસીક ગણાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ટીમ ગુજરાતને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તેમણે સંવેદનશીલતા, પારદર્શકતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર આધારસ્તંભો ઉપર ગુજરાતનો વિકાસપથ કંડાર્યો છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે ૬૦૦ જેટલા જનહિતલક્ષી નિર્ણયો લીધા છે. રાજયની વિકાસની પ્રતીતિ જનસામાન્ય કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.


રાજય સરકારની વિવિધ ક્ષેત્રેની કામગીરી તથા યોજનાઓના અસરકારક અમલ વિશે મંત્રીશ્રીએ વાત કરતા જણાવ્યું હતું કે આ સરકાર ખેડૂતોની સરકાર છે. પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ ૨૯ લાખ ખેડૂતોને લાભ મળી રહયો છે. રાજયના ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવાનો ક્રાંતિકારી નિર્ણય સરકારે લીધો છે. મંત્રીશ્રીએ સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજના, મા અમૃત્તમ, મા વાત્સલ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓની સફળતાઓ વિશે વાત કરી હતી.
રાજયમાં કાયદો અને વ્યવસ્થા વિશે વાત કરતા ગૃહ રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકયા છે. રાજયના તમામ શહેરોને સી.સી.ટી.વી. કેમેરા નેટવર્કથી સાંકળી લેવા સેફ એન્ડ સીકયોર ગુજરાત યોજના હેઠળ રૂ. ૩૩૦ કરોડ જેટલી રકમ ફાળવી છે. પોલીસ વિભાગને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ કર્યુ છે. એ જ રીતે ન્યાયતંત્રને વધુ સબળ બનાવવા નવી કોર્ટો, મહેકમ સહિતના કામોને મંજુરી આપી છે.
સ્વાતંત્ર પર્વમાં ઉપસ્થિત નાગરિકોને શુભકામનાઓ આપતા તેમણે જણાવ્યું હતું કે આપણું ગુજરાત, સલામત ગુજરાત, આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાતના મંત્રને સાચા અર્થમાં રાજય સરકાર દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે શાળા કોલેજના વિધાર્થીઓએ દેશભકિત સાથે આદિવાસી સંસ્કૃતિને અનુરૂપ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્યાર બાદ મંત્રીશ્રીના હસ્તે સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના વરદ્ હસ્તે પર્વની ઉજવણીને અનુલક્ષીને રાજય સરકાર વતી લીમખેડા તાલુકાના વિકાસ માટે કલેકટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.પટેલને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લાના શૈક્ષણિક જગતના તેજસ્વી તારલાઓ, રમતગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનાર જિલ્લાના રમતવીરો, ઉમદા કામગીરી કરનાર કર્મયોગીઓનું તથા સાંસ્કૃતિક કાર્યક્રમના વિજેતાઓને મંત્રી શ્રી પદીપસિંહ જાડેજાને હસ્તે પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ મંત્રીશ્રી તથા મહાનુભાવો, અધિકારીશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આજ રોજ રક્ષાબંઘનનું પર્વ પણ હોય જિલ્લાની મહિલા પોલીસ જવાનોએ લીમખેડા સરકીટ હાઉસ ખાતે મંત્રીશ્રી પદીપસિંહ જાડેજાને રાખડી બાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયશર, નિવાસી અધિક કલેકટર શ્રી એમ.જે. દવે, લીમખેડા ધારાસભ્યશ્રી શૈલેષ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગી, સહિત જિલ્લા-તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ, નાગરિકો-બાળકો-વિધાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.