Western Times News

Gujarati News

ખેડૂત આંદોલન : દિલ્હી રાતોરાત અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું

નવી દિલ્હી: નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ નવેમ્બરથી જ આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ આજે દેશભરમાં ચક્કાજામ કરવાની હાકલ કરી છે. જાેકે, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામનું આયોજન નથી. સંયુક્ત કિસાન મોરચાએ બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ કાર્યક્રમની અવધિ નક્કી કરી છે. અગાઉ મોરચા દ્વારા પ્રજાસત્તાક દિને બોલાવવામાં આવેલી ટ્રેક્ટર રેલીમાં ભારે હિંસા થઈ હતી. તેના કારણે જ આ વખતે સરકાર વધુ સજાગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચ સ્તરીય બેઠકમાં દિલ્હી પોલીસને સુરક્ષા વધારવાની સૂચના પણ આપવામાં આવી છે.

જેથી રાતોરાતમાં દિલ્હી એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. ૨૬ જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાથી ઉભા થયેલા અવિશ્વાસને કારણે હવે દિલ્હી પોલીસ માટે ખેડૂત સંગઠનોના નેતાઓના દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. હવે પોલીસ ૬ ફેબ્રુઆરી એટલે કે આજના ચક્કાજામને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. જણાવી દઈએ કે, રાકેશ ટિકૈત અને કેટલાક અન્ય ખેડૂત નેતાઓએ ઘોષણા કરી છે કે દિલ્હીમાં ચક્કા જામ નહીં કરવામાં આવે, તેમ છતાંય દિલ્હી પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.

દિલ્હીની સુરક્ષામાં ૫૦ હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. જેમાં બોર્ડર સહિત વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં દિલ્હી પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ અને અર્ધ સૈનિક દળના જવાનો શામેલ છે. આઇટીબીપી, સીઆરપીએફ અને એઆઈએફને કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પણ સોંપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં ખાસ સેલની એસડબ્લ્યુએટી ટીમ અને એનએસજીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે.

દિલ્હી પોલીસને લાગે છે કે ૨૬ જાન્યુઆરીના દિવસની જેમ આજે પણ ચક્કાજામના નામે હિંસા ન થાય. આ જ કારણ છે કે દિલ્હી પોલીસને શનિવારે હાઇ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી પોલીસને ઈન્ટેલિજન્સ ઇનપુટ્‌સ પણ મળ્યા છે કે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો ખેડૂત આંદોલનને ટેકો આપવાના નામે દિલ્હીની શેરીઓ જામ કરી શકે છે.

ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં ફ્લેશ મોબની સંભાવના છે. આ જાેતા ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ સેલ, ઇન્ટેલિજન્સ યુનિટ, ડીઆઈયુ અને પીસીઆર સાથે તમામ જિલ્લાની પોલીસને ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. શુક્રવારે પોલીસ કમિશનરે આ સંદર્ભે વિભાગના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં ચક્કાજામને ધ્યાનમાં રાખીને રણનીતિ ઘડવામાં આવી છે.

આજે, બાકીની સરહદોનું પણ નજીકથી નિરીક્ષણ કરવામાં આવશે અને દરેક મુલાકાતીઓની તપાસ કરવામાં આવશે. આ સમય દરમિયાન, શહેરમાં શંકાસ્પદ લોકોનું પ્રવેશ પણ રોકી શકાય છે. ખાસ કરીને બદરપુર બોર્ડર, રજાકરી બોર્ડર, કાપસહેડા બોર્ડર, ચિલ્લા બોર્ડર, ડીએનડી, કાલિન્દી કુંજ, મહારાજપુર બોર્ડર, અપ્સરા બોર્ડર, ભોપુરા બોર્ડર સહિતની તમામ મોટી બોર્ડર પર શુક્રવાર સાંજથી પોલીસ અને અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત શનિવારે બાહ્ય દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડરની આસપાસની અન્ય નાની બોર્ડરને પણ નિયંત્રિત કરવામાં આવશે. દિલ્હીની અંદર લાલ કિલ્લો, આઇટીઓ, અક્ષરધામ, ઈન્ડિયા ગેટ, રાજપથ, વિજય ચોક, સંસદ ભવન, જંતર-મંતર, વડાપ્રધાન આવાસ, ગૃહમંત્રી અને અન્ય કેન્દ્રીય વરિષ્ઠ પ્રધાનોના નિવાસસ્થાનની પણ સજ્જડ સુરક્ષા રહેશે. ઉપરાંત, રિંગ રોડ, આઉટર રિંગ રોડ, મથુરા રોડ, એનએચ -૮, એનએચ -૨૪, જીટી રોડ, રોહતક રોડ સહિતના તમામ મોટા રસ્તાઓ પર પણ પિકેટ્‌સ મૂકીને નજર રાખવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.