Western Times News

Gujarati News

‘જનસેવા એ જ સાચી પ્રભુ સેવા’નું કર્મસૂત્ર સાકાર કરતાં પોલીસ અધિકારી અરૂણ મિશ્રા

કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમ.એલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા

નિયમિત વ્યાયામ ભોજનમાં શિસ્ત પાલન અને વ્યસનમુક્ત રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ અવશ્ય વધે છે- શ્રી અરૂણ મિશ્રા

પોલીસ તાલીમ શાળાના દીક્ષાંત સમારોહમાં પ્રત્યેક જવાનને રાષ્ટ્રની સાથે જન સેવાને સમર્પિત રહેવાના શપથ લેવડાવવામાં આવે છે. આ શપથને વફાદાર રહેવાનું ઉજ્જવળ ઉદાહરણ પ્રસ્તુત કરતાં વારસિયા પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી શ્રી અરૂણ બી.મિશ્રાએ ગઇકાલે, હાલમાં કોવિડ કટોકટીને પગલે વધી ગયેલા ફરજો સંબંધી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી ૫૦૦ એમ.એલ.બ્લડ પ્લાઝમાનું દાન કર્યું હતું. લેબ તપાસમાં તેમની કોવિડ પ્રતિકારક શક્તિ ૧૮.૬૦ જેટલી અત્યંત ઊંચી જણાતા તેમણે તબીબી પરામર્શ પ્રમાણે પ્લાઝમા દાનનો માનવતાસભર અને ખાખી વર્દીને દીપાવતો નિર્ણય લીધો હતો.

ધ્યાન રહે કે જેમની કોવિડ સામેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ ઊંચી હોય એમના લોહીના રક્તકણો એટલે કે બ્લડ પ્લાઝમા કોવિડ સંક્રમિત અને ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીને સાજા કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. પ્લાઝમા ડોનેશન પછી દાતાને થોડોક આરામ લેવાની સલાહ આપવામાં આવે છે. જો કે તેમણે ફરજના સાદને માન આપીને તુરત જ ફરજમાં જોડાઈ જવાનું પસંદ કર્યું હતું.

અરૂણભાઈ કોવિડ કટોકટીની શરૂઆતથી એટલે કે ૨૦૨૦ ના માર્ચ મહિનાથી જ સતત ફરજમાં વ્યસ્ત રહ્યાં છે.તેના ભાગરૂપે સતત સયાજી હોસ્પિટલના કોવિડ વિભાગ સાથે કામ કરવાનું બન્યું છે.આ દરમિયાન તેમને એકાદવાર તાવ આવ્યો પરંતુ કુદરતી પ્રબળ રોગ પ્રતિકારક શક્તિને કારણે ખાસ તાવનો પ્રભાવ પડ્યો નહિ.

તેઓ કહે છે કે, ‘ નિયમિત વ્યાયામ એટલે કે વર્ક આઉટની આદતને લીધે તેમના શરીરની ચુસ્તી અને સપ્રમાણતા જળવાઈ છે… ઉનાળામાં પણ રોજ સવારે લીંબુ મિશ્રિત ગરમ પાણીનું નિયમિત સેવન કરુ છુ…આહાર વિહારના નિયમો એટલે કે ભોજન ડાયટમાં ખૂબ સંયમ પાળુ છુ…

સંપૂર્ણ નિર્વ્યસની જીવનના પગલે તથા આહાર-વિહારના નિયમના પરિણામે જ મારી રોગ પ્રતિકારક શક્તિ અત્યંત ઉમદા કહી શકાય તેટલી, ૧૮.૪૫ ના અંક થી પણ ઊંચી ૧૮.૬૦ જેટલી છે. તેના પરિણામે જ કોવિડગ્રસ્ત કોઈનું પણ જીવન બચે તેવા ઉમદા આશયથી મેં પ્લાઝમા દાન કર્યું છે.’ એમ તેઓ ઉમેરે છે…

ખરેખર અરુણભાઈ એ તેમના જીવન રક્ષક પ્લાઝમા દાન દ્વારા પોલીસ ના ગણવેશમાં જન સેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાચા અર્થમાં સાકાર કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.