Western Times News

Gujarati News

“મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ

સિંગરવા કોવિડ કેર સેન્ટરની ઉત્કૃષ્ઠ કામગીરી

૫૦ બેડની સુવિધા ધરાવતા યુનિટમાં ૧૭૦ થી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી

R.M.O. ડૉ. સ્મિતા લાલાણીએ અમેરિકા જવાને બદલે અમદાવાદના ગામડામાં દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું

કોરોનાની બીજી લહેરમાં સમાજ અને સરકારના સહિયારા પ્રયાસોથી કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવામાં સફળતા મળી રહી છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રોમાં વિવિધ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાવવામાં આવ્યા છે. આ કોવિડ કેર સેન્ટરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સિંગરવા ગામની સરકારી હોસ્પિટલમાં તારીખ ૮ એપ્રિલના રોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા આ સેન્ટરને કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યાન્વિત કરાવવામાં આવ્યું હતું.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને તંત્ર દ્વારા સિંગરવા હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવવાનો નિર્ણય હાથ ધરવામા આવ્યો હતો. જેને આજે એક મહિનો પૂર્ણ થયો છે.

એક મહિનાનો સમયગાળો સિંગરવા ગ્રામ્ય હોસ્પિટલ તંત્ર માટે અતિમહત્વનો રહ્યો છે. ઉક્ત હોસ્પિટલમાં ૧૭૦ થી વધુ ગ્રામ્ય ક્ષેત્રના અને અમદાવાદ પૂર્વ વિસ્તારના કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર  આપવામાં આવી છે.

મોટાભાગના દર્દીઓ હસતામુખે આ હોસ્પિટલમાંથી સારવાર મેળવી સંપૂર્ણપણે સાજા થઇ ઘરે પરત થયા છે.

સિંગરવા કોવિડ કેર સેન્ટર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટરમાં ૩૨ ઓક્સિજન સુવિધાયુક્ત  પથારી ઉપલબ્ધ છે. ત્રણ બાય-પેપ વેન્ટિલેટર, બે HFNC(હાઇ ફ્લો નેઝલ કેન્યુલા) ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં ૧૦ વેન્ટિલેટર ઉક્ત હોસ્પિટલમાં કાર્યાન્વિત કરવામાં આવનાર છે.

સિંગરવા કોવિડ કેર સેન્ટરમાં ૫૮૦ થી વધુ રેમડેસિવીર ઇન્જકેશનના ડોઝ સારવાર મેળવી રહેલા દર્દીઓને આપવામાં આવ્યા છે.

આ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ ડૉ પી.કે.સોલંકી, ૭ સિનિયર તબીબો જેમાં બાળરોગ નિષ્ણાંત, સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, એનેસ્થેસિયા વિભાગના ડૉ.મનીષ જાદવ, આર.એ.મો. સહિતના તબીબો રાઉન્ડ ધ ક્લોક સમગ્ર હોસ્પિટલના વ્યવસ્થાપનમાં લગોલગ કાર્યરત રહે છે.

સિંગરવા કોવિડ હોસ્પિટલમાં ૧૩ નર્સિંગ સ્ટાફ અને ૨૪ જેટલા સફાઇ કર્મીઓ અને ક્લાસ-૪ ના સ્ટાફમિત્રો રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સાર-સંભાળ અને સેવા-સુશ્રુષામાં કાર્યરત રહે છે.

આ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓની શારિરીક સારવારની સાથે-સાથે માનસિક સ્થિતિની પણ જાળવણી કરીને કાઉન્સેલર્સ દ્વારા દર્દીઓનું સતત કાઉન્સેલીંગ કરાવવામાં આવે છે. ફીઝીયોથેરાપી પ્રવૃતિઓ, શારિરીક કસરતની જરૂરિયાત ધરાવતા દર્દીઓને તે પ્રવૃતિ સાથે જોડવામાં આવે છે.

સિંગરવા કોવિડ કેર સેન્ટર ના આર.એ.મો. ડૉ.સ્મિતા લાલાણીની સેવા અને કર્તવ્યનિષ્ઠા પણ પ્રેરક છે. તેઓ છેલ્લા ૨ વર્ષથી લગાતાર આ હોસ્પિટલમાં સરાહનીય સેવાઓ બજાવી રહ્યા છે. તેઓનું પરિવાર અમેરિકામાં સ્થિત છે. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણી વખત અમેરિકા સ્થિત પરિવારે ડૉ. સ્મિતાને  અમેરિકા સ્થાયિ  થવા પરિવારજનો દ્વારા કહેવામા આવ્યું. પરંતુ આ તબીબની કર્તવ્યનિષ્ઠા અને કોરોના જેવી કપરી મહામારીમાં દર્દીનારાયણની સેવાની પ્રાથમિકતાને તબીબે પ્રાધાન્ય આપ્યું. અમેરિકા જવાનું ટાળીને હાલ દિવસ – રાત સારવાર મેળવી રહેલા દર્દીની સેવા-શુશ્રુષાની સાથે હોસ્પિટલના વ્યવસ્થાપનમાં અગત્યનો ભાગ ભજવી રહ્યાં છે.

સિંગરવા કોવિડ કેર સેન્ટરમાં સિંગરવા ગ્રામ પંચાયત અને ગામના અગ્રણી શ્રી કુંજનસિંહ ચૌહાણ સહિત સર્વે ગ્રામજનોને કોરોનાની આવી પડેલી આફતનો સામનો કરવા એકજૂથ થઇ સહિયારા પ્રયત્નો હાથ ધર્યા છે. ગામની હોસ્પિટલમા સારવાર મેળવી રહેલા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત જણાઇ આવતા અગ્રણી શ્રી કુંજનસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ ગ્રામપંચાયત દ્વારા તાકીદે સમગ્ર વ્યવસ્થાપન હાથ ધરવામાં આવે છે. ગણતરીના કલાકોમાં જ  જી.આઇ.ડી.સી. સ્થિત કંપનીમાંથી ઓક્સિજનની સવલત મેળવીને  હોસ્પિટલને પૂરી પાડવાની અગત્યની ભૂમિકા ભજવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્થાપના દિનના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. ગ્રામિણ ક્ષેત્રે ગ્રામ યોદ્ધા કમિટિનું ગઠન કરીને કોરોનાગ્રસ્ત દર્દીઓને પ્રારંભે સધન સારવારની સાથે શ્રેષ્ઠ સવલતો મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જ અમદાવાદ જિલ્લાના સિંગરવા ગામ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

-અમિતસિંહ ચૌહાણ   


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.