Western Times News

Gujarati News

છેલ્લા ૧૨ વર્ષથી બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપમાં જોડાતા વિદેશી તબીબોએ ૮૦ ક્ન્સનટ્રેટર વિદેશથી દાન કર્યા

યુ.કે.માં વસતા ગુજરાતી સ્પાઇન સર્જને ૧૦ કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલ મોકલ્યા

હાઇ-ટેક કન્સનટ્રેટર કોરોનાગ્રસ્ત દર્દીઓની પ્રાથમિક ઓક્સિજન જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બનશે : સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ   

કોરોનાની બીજી લહેરે દેશ આખા પર પોતાનો કહેર વરસાવ્યો.વાયરસના બદલાયેલા સ્વરૂપે ઘણાંય પરિવારોને વીખેરી નાંખ્યા. સમગ્ર દેશમાં ઓક્સિજનની જરૂરિયાતથી કોરોનાગ્રસ્ત દર્દીઓ ઝઝૂમતા જોવા મળ્યા. દેશ પર એકાએક આવી પડેલી આફત પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકારની સાથે સેવા-ભાવી સંસ્થાઓ અને સમાજના આગેવાનો ઉમદા કાર્ય કરી મદદરૂપ બનવા આગળ આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ રાજય અને દેશની સાથે વિદેશથી પણ દાનની સરવાણી વહેતી રહી. તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ઓક્સિજનને લગતી પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે અમેરિકા અને યુ.કે. થી ગુજરાતની જનતાને વ્હારે આવી માદરે વતન પોતાની મદદનો હાથ લંબાવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 12 વર્ષથી યોજાતા બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમાં રાજ્ય અને દેશની સાથે વિદેશ માંથી પણ ખ્યાતનામ તબીબો સહભાગી બને છે. દર વર્ષે દેશ – વિદેશના બાળરોગ સર્જરી નિષ્ણાંત તબીબો આ વર્કશોપમાં જોડાય છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોના જ્ઞાનનું આદાન પ્રદાન વૈશ્વિક કક્ષાના તબીબો સાથે થાય છે. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થતી જટીલ સર્જરીઓ થકી ઘણી નવિ તકનીકો, જટીલતા શીખીને જાય છે.

અહીં વિવિધ જટીલ સર્જરીઓ વિશેનો તાગ મેળવી , જ્ઞાન મેળવીને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે. સિવિલ હોસ્પિટલ તરફથી તેઓને વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા અતિ જટીલ સર્જરીના કિસ્સા જોવા મળે છે.

મૂળ વઢવાણમાં વસતા ખ્યાતનામ તબીબ શ્રી અસીમ શુક્લા અને શ્રીમતી પામેલા આર્ટીગસ(ફ્લોરીડા સ્થિત) ભેગા થઇને વિદેશી એન.જી.ઓ.ના સહયોગથી સિવિલ હોસ્પિટલમાં કન્સનટ્રેટર આપીને ઓક્સિજન જરૂરિયાત ધરાવતા દર્દીઓને મદદરૂપ બનવા ફંડ એકઠું કર્યું.ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં વિદેશથી કુરિયર મારફતે 80 કન્સનટ્રેટર અમેરીકાથી મોકલી આપ્યા

શ્રી અસિમ શુક્લાએ કહ્યું કે, કોરોના મહામારીમાં વિવિધ પ્રચાર-પ્રસાર માધ્યમો થકી સિવિલ હોસ્પિટલની કામગીરીથી માહિતગાર થયા છીએ.

સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો થકી પણ સિવિલ હોસ્પિટલની કોરોનાકાળમાં થતી કામગીરીની સમયાંતરે જાણ થતી રહી છે. સિવિલ હોસ્પિટલે રાજ્યભરમાંથી મહત્તમ કોરોના દર્દીઓને સાજા કરીને ઘરે મોકલ્યા છે. જેના દ્વારા જ સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં જોડાવવાનો અમેં દ્રઢ નિર્ધાર કર્યો.

દર વર્ષે વર્કશોપમાં આવીને અમેં નોધ્યું છે કે, વિશ્વના વિવિધ દેશોમાં બાળરોગની થતી સર્જરી અત્યંત ખર્ચાળ હોય છે. જે સિવિલ હોસ્પિટલમાં તદ્દન નિ:શૂલ્ક કરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ દ્વારા જૂજ જોવા મળતી અત્યંત જટીલ પ્રકારની સર્જરીઓ પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં આવતા બાળકો અને તેમના માતા-પિતાને હસતામુખે ઘરે પરત ફરતા અમેં જોયા છે.

સિવિલ હોસ્પિટલમાં વર્કશોપ દ્વારા મારા સહિત અન્ય તબીબોને પણ ઘણું શીખવા મળ્યું છે. અમેં સિવિલ હોસ્પિટલમાં આવીને  દર વર્ષે જ્ઞાનનો ભંડાર મેળવ્યો છે માટે આ કોરોના મહામારીમાં સિવિલના વ્હારે આવવાનો અને સિવિલ હોસ્પિટલને કંઇક આપી સિવિલ હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવાવનો આ અનેરો અવસર હતો. જેમાં અમે સહભાગી બન્યા છીએ તેમ શ્રી અસીમ શુક્લા એ ઉમેર્યુ હતુ.

વર્ષોથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના વર્કશોપમાં જોડાવવાના કારણે ફક્ત પ્રોફેશનથી જ નહીં તેઓ લાંગણીઓ થી પણ બંધાઇ ગયા. જ્યારે તેઓએ જોયું કે રાષ્ટ્ર પર આવી પડેલી મહામારીમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર સ્વખર્ચે ૮૦ જેટલા ઓક્સિજન કન્સનટ્રેટર સિવિલ હોસ્પિટલના દર્દીઓની સેવા માટે દાન કર્યા.

દાન કરેલા ૮૦ કન્સનટ્રેટર પૈકી ૩૨ કન્સનટ્રેટર ૧૦ લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત ૨૨૦૦ અમેરિકન  ડોલર અને બાકીના 48 કન્સટ્રેટર 5 લીટરની ક્ષમતા ધરાવતા અંદાજીત 48 લાખની કિંમતના સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યા છે.

અન્ય એક સેવા ભાવી ભારતીય સ્પાઇન સર્જન ડૉ. વિનય જસાણી જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવાકીય પ્રવૃતિઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે. જેઓએ સિવિલ હોસ્પિટલના પોલીયોગ્રસ્ત બાળકોની સ્પાઇન સર્જરીથી લઇ અન્ય સ્પાઇન સર્જરીમાં સિવિલ હોસ્પિટલ તબીબો સાથે જોડાયેલા રહ્યા છે.

તેઓએ પણ સિવિલ હોસ્પિટલ પ્રત્યેનો ઋણ અદા કરતા યુ.કે. થી  10 લાખના સ્વખર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલને ૧૦ ઓક્સિજન કન્સનટ્રેટરનું દાન કર્યું છે. મૂળ ગુજરાતી અને યુ.કે.માં વસતા સ્પાઇન સર્જન ડૉ. વિનયભાઇએ ગુજરાતની જનતા પ્રત્યેનો પ્રેમ દાખવીને યુ.કે.માં રહીને પણ ગુજરાતી ભાઇ-બહેનોના સ્વાસ્થ્યની ચિંતા દાખવી અને મદદ કરી છે.

તેઓએ યુ.કે.થી ફ્લાઇટ મારફતે પ્રાયોરીટી બેઇઝ્ડ ૧૦ કન્સનટ્રેટરનું પોસ્ટ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

સિવિલ હોસ્પિટલને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે. કોરોનાકાળમાં પણ રાજ્યભરમાં લગભગ સૌથી વધુ દર્દીઓએ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં જ સારવાર મેળવી છે. અહીં દર્દીઓનો રીકવરી રેટ પર મહત્તમ જોવા મળ્યો છે.

સિવિલ હોસ્પિટલના તબીબો દરીદ્રનારાયણના સેવાયજ્ઞમાં જોડાઇને સ્વને ભૂલી જઇ સમસ્તિ માટે કાર્ય કરી રહ્યા છે. ત્યારે રાજ્યની અને દેશની ઘણી સેવાભાવી સંસ્થાઓ પણ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવા સિવિલ હોસ્પિટલને સહભાગી થવા દાનની સરવાણી વહેડાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.