Western Times News

Gujarati News

સોમનાથ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થયું

સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડ્યું – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ અને ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા પ્રત્યક્ષ ઉપસ્થિત
Ooo

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી::

* બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ તીર્થ વ્યવસ્થા અને શક્તિપીઠ ની સંકલ્પના અને આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અભિવ્યક્ત કરે છે

* પર્યટન સ્થળો -તીર્થ સ્થળોના વિકાસ સાથે દેશ અને સામાન્ય નાગરિક આગળ વધી રહ્યો છે
પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે

* પર્યટન સ્થળોને સુવિધા સભર અને સ્વચ્છતા યુક્ત બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસો લીધે ૨૦૧૩માં ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સમાં દેશનો ૬૫ મો ક્રમ હતો તે હવે ૩૪માં ક્રમે પહોંચ્યો

* તીર્થ સ્થળોને આધુનિકતા સાથે જોડીને કરવામાં આવતા વિકાસનું સંકલ્પથી સિદ્ધિ સુધીનું પરિણામ ગુજરાતે જોયું છે

કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ::

વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ તીર્થ સ્થળનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે

સોમનાથ પરિસરમાં સ્વચ્છતાનું મોટું કાર્ય થઈ રહ્યું છે- સમુદ્ર દર્શન પથ સહિતની સુવિધાઓનો દેશ વિદેશના યાત્રિકોને લાભ મળશે

::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી::

સોમનાથ તીર્થ સ્થળના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ: સોમનાથના ગૌરવ ગરિમાને પુન સ્થાપિત કરવાના દિવ્ય કાર્યમાં ગુજરાત સરકાર પરિશ્રમ કરીને હર હંમેશ પ્રતિબધ્ધ રહેશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલા વિશેષ પ્રયાસોને લીધે ડિજિટલ માધ્યમથી કરોડો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે

વડાપ્રધાનશ્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલ લોકાર્પણ તેમજ શ્રી પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન સોમનાથને નમન કરી સગૌરવ જણાવ્યું હતું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુનર્જીવિત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું હતું.


આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.

વડાપ્રધાનશ્રીએ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીર્ણોધ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીએ શિવ અવિનાશી, અવ્યક, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી કહ્યું હતું કે આ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ખડું થયું. તોડવાનુ- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આતતાયી તાકાતોથી દબાવી શકાતા નથી.

આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યું હતું કે,પશ્ચિમમાં સોમનાથ નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે.
બાર જ્યોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવના અભિવ્યક્ત કરે છે તેમ વડાપ્રધાનશ્રીએ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં સોમનાથ સહિતના સ્થળોએ પણ યાત્રિક લક્ષી સુવિધાઓ સગવડમાં વધારો થયો છે તે સંદર્ભમાં વડાપ્રધાનશ્રી એ જણાવ્યું કે દેશભરમાં થયેલા આવા વિકાસ લક્ષી કાર્યોને લીધે વર્ષ 2013માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પેટીટેવનેસ ઈન્ડેક્સ માં ૬૫મા ક્રમે હતો જે વર્ષ ૨૦૧૯માં આગળ વધી ૩૪માં ક્રમે સ્થાન મળ્યું છે.
વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં કચ્છ સહિતના વિવિધ સ્થળોએ પ્રવાસનના વિકાસમાં આધુનિકતાને જોડીને કરવામાં આવેલા સંકલ્પ થી સિદ્ધિ ના વિકાસ લક્ષી પ્રયાસોના પરિણામો ગુજરાતે જોયા છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં સોમનાથ મંદિર નૂતન કાર્યો થકી પ્રેરણા આપે છે. સોમનાથમાં પ્રદર્શની ગેલેરી થી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી નવયુવાનોને વિશેષ માહિતી મળશે તેમ પણ પ્રધાનમંત્રી શ્રી એ ઉમેર્યું હતું.
કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ
આ અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમાન સોમનાથ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું છે.
સોમનાથ તીર્થમાં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર નવીનીકરણ અને દાતા શ્રી ભીખુભાઈ ધામેલીયા ના પરિવાર ના સહયોગથી બનાવવામાં આવી રહેલા શ્રી પાર્વતી માતા ના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પો થી સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓ યાત્રિકો ની સુવિધા વધશે તેમ જણાવીને કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી એ ભારત સરકાર અને ગુજરાત સરકાર નું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ તેમજ દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવા ને લગતા અનેક કાર્યો થઇ રહ્યા છે તેની રૂપરેખા આપી હતી.શ્રી અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી
આ પ્રસંગે સોમનાથ ખાતે લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળોના વિકાસ માટે શ્રેણીબદ્ધ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ધાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપી રાજ્ય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યો ની રૂપરેખા આપી હતી.
આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પી.કે લહેરી ,ટ્રસ્ટીશ્રી જેડી પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .
આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રીશ્રી શ્રીપદ નાયક ,નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ વર્ચ્યુઅલ માધ્યમ થી જોડાયા હતા. આ કાર્યક્રમની રૂપરેખા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ શ્રીએ આપી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.