Western Times News

Gujarati News

ભીખ માગતા પાંચ અનાથ બાળકોને રેસ્ક્યુ કરાયા

ભોપાલ, કોરોનામાં પોતાના માતાપિતાને ગુમાવનારા પાંચ બાળકો રસ્તા પર ભીખ માગતા હોવાનો એક વીડિયો વાયરલ થતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક તેમને રેસ્ક્યુ કર્યા હતા. આ પાંચ બાળકોમાં સૌથી મોટી સાત વર્ષની બાળકીથી લઈ ૧૦ મહિનાના બાળકનો સમાવેશ થાય છે. આ બાળકો એમપીના ભીંડની શેરીઓમાં ભીખ માગી રહ્યા હતા. તેમના માતાપિતાનું ગયા વર્ષે કોરોનામાં મોત થયું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોના દ્રશ્યો કોઈને પણ વિચલિત કરી નાખે તેવા છે. જેમાં સૌથી મોટી સાત વર્ષની બહેન પોતાના ૧૦ મહિનાના ભાઈને તેડીને ભીખ માગતી જાેઈ શકાય છે. એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ સુધી આ વિડીયો પહોંચતા તેમણે સ્થાનિક તંત્રને બાળકોને બચાવી લેવા નિર્દેશ આપ્યા હતા. હાલ આ તમામ બાળકોને શિશુ ગૃહમાં રાખવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર ડૉ. સતિશ કુમારના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા આ બાળકોની સ્થિતિ અંગે તેમને જાણ થઈ હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટિએ તાત્કાલિક આ બાળકોનો પત્તો લગાવીને તેમને શિશુગૃહમાં રાખવા માટેની પ્રક્રિયા શરુ કરી હતી. બાળકોની કસ્ટડી તેમના દાદા પાસે હતી, તેમની પરવાનગી બાદ બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા. હાલ બાળકોની સ્થિતિ સારી છે, અને જ્યુવેનાઈલ જસ્ટિસ લૉ અનુસાર તેમની મદદ કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, આ બાળકો યુપીના છે. તેમના માતાપિતા ગયા વર્ષે મોતને ભેટ્યાં હતાં. શરુઆતમાં બાળકો યુપીમાં તેમની કાકી સાથે રહેતા હતા. જાેકે, તે તેમને એમપીના ભીંડમાં રહેતા તેમના દાદાને ત્યાં મૂકી ગઈ હતી. બાળકોના દાદા ખૂબ જ વૃદ્ધ છે, અને કામ કરી શકવાની સ્થિતિમાં નથી. શરુઆતમાં તેમણે બાળકોને શિશુગૃહમાં રાખવા સામે વિરોધ કર્યો હતો, પરંતુ તેમનું કાઉન્સેલિંગ કરાતા આખરે તેઓ તૈયાર થયા હતા.

મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે ૩૦૦ જેટલા બાળકો અનાથ બન્યા છે. સરકાર દ્વારા તેમને મદદ કરવા માટે ડેટાબેઝ પણ તૈયાર કરાયો છે, અને તેમના માટે ખાસ યોજના પણ જાહેર કરાઈ છે. જેના હેઠળ કોરોનામાં માતાપિતા ગુમાવનારું બાળક ૨૧ વર્ષનું ના થાય ત્યાં સુધી તેને દર મહિને ૫ હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. જાે ૨૧ વર્ષની વય બાદ પણ બાળકનો અભ્યાસ ચાલુ હોય તો તેને ૨૪ વર્ષ સુધી સહાય મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.