Western Times News

Gujarati News

ભારતે મારા માર્ગદર્શનમાં દરેક દેશને હરાવ્યા: શાસ્ત્રી

નવી દિલ્હી, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ભારતના યજમાન પદે યોજાતા ટી ૨૦ વર્લ્‌ડ કપ -૨૦૨૧ સાથે જ સમાપ્ત થઈ જશે. ત્યારબાદ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કોચ પદેથી હટી જશે. તેણે આ દિશામાં એક મોટી વાત કરી છે. શાસ્ત્રીનું કહેવું છે કે કોચના રૂમમાં બેસીને તેમણે જે પણ સપનું જાેયું હતું તે બધું જ તેમને મળ્યું. બીજી બાજુ, વિરાટ કોહલીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે ટી ૨૦ વર્લ્‌ડ કપ બાદ ટી ૨૦ ટીમની કેપ્ટનશીપ છોડી દેશે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં શાસ્ત્રીએ કહ્યું મેં માઇકલ એથર્ટન સાથે વાત કરી અને કહ્યું હતું કે મારા માટે આ અંતિમ છે. કોચ બનીને મારી જે પણ ઈચ્છા હતી તે તમામ મને મળ્યું છે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી -૨૦૧૭ બાદ અનિલ કુંબલેએ કેપ્ટન વિરાટ કોહલી સાથે વણસેલા સંબંધો બાદ મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી શાસ્ત્રી ૨૦૧૭ માં ટીમ ઇન્ડિયાના કોચ બન્યા. શાસ્ત્રીના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયા આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી.

પોતાની સિદ્ધિઓને ગણાવતા શાસ્ત્રીએ કહ્યું કે- ૫ વર્ષ સુધી ટીમ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન રહી. ઓસ્ટ્રેલિયામાં બે વખત ટેસ્ટ શ્રેણી જીતી.

ઈંગ્લેન્ડમાં જઈને ઈંગ્લેન્ડને હારનો સ્વાદ ચખાડ્યો. અમે દરેક ક્રિકેટ રમતા દેશને તેમની પોતાની હોમ પીચ પર હરાવ્યા છે. જાે આપણે ટી ૨૦ વર્લ્‌ડકપ જીતીશું તો તે સોને પે સુહાગા જેવું હશે. તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ટીમ ઇન્ડિયા ૨-૧થી આગળ હતી. તેમણે લોર્ડ્‌સ અને ધ ઓવલ ખાતેની જીતને ખૂબ મહત્વની ગણાવી હતી.

જ્યારે મુખ્ય કોચ તરીકે સહન કરવી પડતી ટીકા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું – કોવિડ છે કે નહીં તેની તેમને જરા પણ પરવા નથી. તેઓ એટલું જ ઇચ્છે છે કે તમે જીતો અને રન બનાવો. તેમણે આગળ કહ્યું- તમે જાણો જ છો કે ભારતની ક્રિકેટ ટીમના કોચ બનવું એ બ્રાઝિલ અથવા ઈંગ્લેન્ડના ફૂટબોલ કોચ બનવા જેવું છે. તમે હંમેશા ગન પોઈન્ટ પર હોવ તેવો આ અનુભવ છે.

તમે છ મહિના સુધી યાદગાર પારી રમ્યા હોવ અને પછી એક દિવસ અચાનક જાે તમે ૩૬ રન બનાવી આઉટ થઈ જાવ તો લોકો તમને ગોળી મારી દેશે. તેનો અર્થ એક જ છે કે તમારે તરત જ જીતવું પડશે. નહિંતર તેઓ તમને ખાઈ જશે. જાેકે મારી ચામડી જાડી છે તેથી ટીકાઓથી મને વાંધો નથી આવ્યો.

લંડનમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપ્યાના થોડા દિવસો પછી શાસ્ત્રી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તેમની સાથે ચાર સપોર્ટ સ્ટાફને પણ આઈસોલેશનમાં જવું પડ્યું હતું. ત્યારબાદ મદદનીશ ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ રદ કરી દેવાની ફરજ પડી હતી. શાસ્ત્રીએ કહ્યું, મારા ૧૦ દિવસમાં મને ગળામાં દુઃખાવા સિવાય એક પણ લક્ષણ નહોતું.

ક્યારેય મારા શરીરનું તાપમાન વધુ નહોતું નોંધાયું અને મારું ઓક્સિજન લેવલ ક્યારેય ૯૯ ટકાથી નીચે નહોતું રહ્યું. મેં મારા આઈસોલેશનના ૧૦ દિવસ દરમિયાન કોઈ દવા લીધી નથી, ત્યાં સુધી કે એક પણ પેરાસીટામોલ નથી લીધી. હું લોકોને કહેવા માગુ છું કે એકવાર તમે વેક્સીનના બે ડોઝ લઈ લીધા પછી તે ફક્ત ૧૦ દિવસનો ફલૂ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.