Western Times News

Gujarati News

વસ્ત્રાપુરમાં રહેતી મહિલાના ઘરમાં ૧.૮૦ લાખની ચોરી

અમદાવાદ, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય એક મહિલાએ પોતાના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ સક્ષમ નોંધાવી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો કે, ચોરો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને પતિના એપિલેપ્સીની (વાઈ) સારવાર માટે બચાવીને રાખેલી ૮૦ હજાર રૂપિયાની રોકડ રકમ તેમજ ઘરેણાં સહિત કુલ ૧.૮૦ લાખની ચોરી કરી હતી.

૩૨ વર્ષીય દક્ષા ઠાકોરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે વસ્ત્રાપુર ગામમાં આવેલા ઠાકોરવાસમાં રહે છે. તેણે જણાવ્યું હતું કે, ઘટના ૧૪મી સપ્ટેમ્બરે રાતે બની હતી. તેણે જણાવ્યું હતું કે, ચોરી થઈ તે દિવસે, તે રાતે પાણી પીવા માટે ઉઠી હતી અને ત્યારે ઘરનો મુખ્ય દરવાજાે અડધો ખુલ્લો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ સિવાય જેમાં તેણ ઘરેણા અને રોકડ મૂકી હતી તે કબાટ પણ ખુલ્લું હતું.

ફરિયાદમાં તેણે કહ્યું હતું કે મેં તે પૈસા મારા પતિની સારવાર માટે રાખ્યા હતા, જેમને વાઈના કારણે અવારનવાર આંચકી આવતી રહે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને તેથી મેં તે પૈસા બચાવીને રાખ્યા હતા પરંતુ તે ચોરી થઈ ગયા. તેણે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ચોરી થયા બાદ તેના પિયર પક્ષમાં કેટલાક સંબંધીના મૃત્યુ થયા હતા અને તેથી તે સમયસર ફરિયાદ નોંધાવી શકી નહોતી.

અંતે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના આક્ષેપોના આધારે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.