Western Times News

Gujarati News

આપણે સંકલ્પ લઈએ કે જન્મદાત્રી માતાને કદી વૃદ્ધાશ્રમ નહીં મોકલીએઃ ગૃહ રાજ્યમંત્રી

માતૃતર્પણ તિર્થ સિદ્ધપુર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ

માહિતી બ્યુરો, પાટણ, પુરાણપ્રસિદ્ધ માતૃતર્પણ સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે માતૃવંદના-૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

જી.આઈ.ડી.સી.ના ચેરમેનશ્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ બેદિવસિય કાર્યક્રમના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી ગીતાબેન રબારી દ્વારા લોકગીતોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના ઉદઘાટક ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિદ્ધપુરની ધરતી પર વર્ષો પહેલા માતૃમહિમાના આ મહોત્સવની ઉજવણી શરૂ કરાવવામાં આવી હતી. માતૃવંદના મહોત્સવ થકી સિદ્ધપુરનો ઈતિહાસ અને અહીં માતૃતર્પણના પવિત્ર કર્મની વાત દેશભરમાં પહોંચતી થઈ છે. દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુથી નિર્મિત બિંદુ સરોવરમાં તર્પણ માટે આવે છે

સાંખ્ય દર્શનના પ્રણેતાશ્રી કપિલમુનિજીના તપોબળથી શ્રીસ્થળની પુણ્ય ભુમિ પર સાક્ષાત પધારેલા સરસ્વતી દેવીના નીરમાં માતૃતર્પણનો મહિમા વર્ણવી ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, પાંચ સ્વયંભુ મહાદેવના આશિર્વાદથી સિદ્ધપુરના લોકો સુખી-સમૃદ્ધ છે. આ તબક્કે પૂજ્ય દેવશંકર બાપાને પણ વંદન કરૂં છું.

બિંદુ સરોવર ઉપરાંત રૂદ્ર મહાલય, રાણીની વાવ અને પાટણના પટોળાએ પાટણને વિશ્વફલક પર ચિન્હીત કર્યું છે. રાણીની વાવની વિશિષ્ટતાઓને દુનિયા સમક્ષ મૂકવાનો શ્રેય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે.

માતૃવંદના મહોત્સવમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પોતાની સફળતાનો શ્રેય પોતાની માતાને આપી વંદન કરવા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત નગરજનોને અપીલ કરી હતી કે, આપણે સંકલ્પ લઈએ કે કોઈપણ પરિવારના વૃદ્ધ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે, એ જ સાચી માતૃવંદના છે. આ સાથે જ ગૃહ રાજ્યમંત્રીએ દિવાળી જેવા અનેક તહેવારો અને કોરોના મહામારી જેવી સ્થિતિમાં પણ પરિવારથી દૂર રહી જિલ્લામાં શાંતિ, સલામતી અને સુરક્ષાની વ્યવસ્થા જાળવવા બદલ પાટણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

સિદ્ધપુરના ધરણીધર બંગ્લોઝ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત કચેરી પાટણ દ્વારા સંચાલિત માતૃવંદના ઉત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા,

સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સુશ્રી કૃપાબેન આચાર્ય, જિલ્લા સંગઠનના પ્રમુખશ્રી દશરથજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર સહિતના પદાધિકારીશ્રીઓ-હોદ્દેદારશ્રીઓ, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી પી.આર.જાેષી, નાયબ સચિવશ્રી એસ.કે.હુડ્ડા, ગુજરાત સંગીત નાટ્યકલા અકાદમીના અધ્યક્ષશ્રી પંકજ ભટ્ટ,

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વિરેન્દ્રભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.