Western Times News

Gujarati News

કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટનો વિશ્વ પર ખતરો

સૌથી વધુ ઘાતક અને ઝડપથી ફેલાતા ઓમીક્રોન પર હજુ રિસર્ચ નહી થયાની હુ (WHO) ની કબુલાત

દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ કેસ: જાપાન સહિતના દેશોમાં ઓમીક્રોન વેરિયન્ટના દર્દીઓ નોંધાતા વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો લાગુ કર્યાં: ભારતમાં અનલોક દરમિયાન અપાયેલી છુટછાટમાં નાગરિકો સાવચેત નહી રહે તો ત્રીજી લહેરનું જાેખમ

ભારત, અમેરિકા, રશિયા સહિતના દેશોએ કોરોના સામે રસી બનાવી નાગરિકોને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ભારતમાં નાગરિકોને રસી ના બે ડોઝ મફત આપવામાં આવી રહયા છે. વિશ્વભરના દેશોએ ભારતમાં રસીકરણની ઝુંબેશના આયોજનની ભારોભાર પ્રશંસા કરી છે

જાેકે લોકડાઉન બાદ રસીકરણના કારણે કોરોના કાબુમાં આવી રહયો છે અને પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહયા છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તબીબો કોરોના હજુ ગયો નથી તેથી સાવચેતી રાખવા નાગરિકોને આહ્‌વાન કરી રહયા છે આ પરિસ્થિતિમાં તા.૧૧મી નવેમ્બરના રોજ બોસ્તવાનમાં કોરોનાનો કેસ નોંધાયો હતો

અને તેની તપાસ કરતા આરોગ્ય અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં આ કેસ કોરોનાના નવા જ વેરિયન્ટનો હોવાથી તાત્કાલિક એલર્ટ જાહેર કરી દેવાયુ હતું હુ એ આ કેસને ગંભીરતાથી લઈ તાત્કાલિક અગમચેતીના પગલાં ભરવાનું જણાવી દીધું હતું ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયલ, બેલ્જિયમ તથા દ.આફ્રિકાના કેટલાક દેશોમાંથી આ નવા વેરિયન્ટના કેસો ખુબ જ ઝડપથી નોંધાતા હુ એ વિશ્વભરના દેશોને ખતરા માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.

નવા વેરિયન્ટનું નામ ઓમીક્રોન આપી તેના પર રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે પરંતુ હાલમાં આ અંગેની કામગીરી ચાલી રહી છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક ક્ષેત્રોમાંથી રોજ નોંધાતા કોરોનાના કેસોમાં ૯૦ ટકા ઉપરાંતના કેસો ઓમીક્રોન વેરિયન્ટના છે. ૧પ દિવસ પહેલા ઓમીક્રોનનો માત્ર એક જ કેસ નોંધાયો હતો પરંતુ તે ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તેના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહયો છે.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના પ્રથમ કેસ બાદ ધીમે ધીમે એક પછી એક દેશોમાં આ કેસો નોંધાવા લાગતા વિશ્વભરના દેશોમાં ફફડાટ ફેલાયો છે. ઓમીક્રોન વેરિયન્ટના કેસોમાં થઈ રહેલા વધારાના પગલે વિશ્વના અનેક દેશોએ પ્રતિબંધો લાદવાની શરૂઆત કરી દીધી છે અગાઉ ડેલ્ટા વેરિયન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હતો

પરંતુ તેની કરતા પણ સાત ઘણી ઝડપથી ઓમીક્રોન વેરિયન્ટ ફેલાઈ રહયો છે. આફ્રિકામાં પરિસ્થિતિ દિવસેને દિવસે કફોડી બનવા લાગી છે જેના પગલે અમેરિકા, ભારત તથા અન્ય દેશોએ આફ્રિકાની ફલાઈટો પર પ્રતિબંધ લાદી દીધો છે. દક્ષિણ આફ્રિકામાંથી મળેલા ઓમીક્રોન વોરિયન્ટના કેસના પગલે વિશ્વભરના દેશો સતર્ક બની ગયા છે

અને આ કેસોને અટકાવવા માટે સ્થાનિક કક્ષાએ પગલાં ભરવામાં આવી રહયા છે. બીજીબાજુ વિશ્વના અનેક દેશો જેવા કે સ્વીઝલેન્ડ, ઈટલી, ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, અમેરિકામાં કોરોનાના કેસોમાં સતત વધારો થવા લાગ્યો છે. કેટલાક દેશોમાં રસીકરણને લઈ નાગરિકો નિરૂત્સાહ જાેવા મળી રહયા છે જેના પગલે કોરોના પુનઃ ફેલાવા લાગ્યો છે

હુ દ્વારા ઓમીક્રોન ઉપર રિસર્ચ શરૂ કરવામાં આવ્યુ છે અને તે પૂર્ણ થતા હજુ થોડો સમય લાગશે પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ વિકટ બને નહી તે માટે સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ સ્પષ્ટપણે માની રહયા છે કે વેક્સિનના ડોઝ લેવા ખુબ જ જરૂરી છે

જેનાથી ઓમીક્રોન કાબુમાં રહી શકશે. બીજીબાજુ બુસ્ટર ડોઝ માટે પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ભારતે પણ ઓમીક્રોન સામે સાવચેતીના પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. જાેકે લોકડાઉન બાદ અનલોક દરમિયાન ક્રમશઃ છુટછાટો આપતા જનજીવન પુનઃ ધબકતુ થવાની સાથે ધંધા રોજગારો પણ પૂર્વવત સ્થિતિમાં આવી ગયા છે

આ પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર કોઈપણ પ્રકારના આકરા નિયંત્રણો લાદશે નહી તેવું સ્પષ્ટપણે મનાઈ રહયું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા નિષ્ણાંતો સ્પષ્ટપણે જણાવી રહયા છે કે હજુ વિશ્વમાંથી કોરોના નાબુદ થયો નથી તેથી વેક્સિન લીધા પછી પણ સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના પગલે ભારતમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બનેલું છે. વડાપ્રધાન મોદીએ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તમામ રાજયોની પરિસ્થિતિ પર નજર રાખવા આદેશ આપ્યો છે. ખાસ કરીને રસીકરણની ઝુંબેશ અસરકારક રીતે વ્યાપક બને તે માટે ખાસ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.

ભારત દેશમાં હાલ રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે પરંતુ કેટલાક રાજયોમાં નાગરિકો રસી લેવા તૈયાર નહી હોવાથી ખતરો વધુ હોવાનું મનાઈ રહયું છે આવા વિસ્તારોમાં રસીકરણ શરૂ કરવા માટે પણ જનજાગૃતિના કાર્યક્રમો યોજવાની શરૂઆત કરવામાં આવનાર છે.

ભારત સહિતના દેશોએ ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ ખુબ જ ઝડપથી ફેલાતા ઓમીક્રોન વેરિયન્ટ સામે તકેદારી રાખવા માટે વિદેશથી આવતા તમામ પ્રવાસીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાેકે ભારતમાં હજુ સુધી ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી

પરંતુ વિશ્વના અનેક દેશોમાં આના કેસો નોંધાતા ભારત ઉપર પણ ખતરો તોળાઈ રહયો છે. ભારત જેવા ગીચ વસ્તી ધરાવતા દેશમાં ઓમીક્રોન ભારે આંતક મચાવશે તેવુ સ્પષ્ટપણે આરોગ્ય વિભાગના અધિકારીઓ માની રહયા છે તેથી અત્યારે અનલોક દરમિયાન સાવચેતી રાખવા નાગરિકોને આહ્‌વાહન કરવામાં આવ્યું છે.

ભારત દેશમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૧.૧૦ લાખ જેવી થવા જાય છે અને રોજ નોંધાતા કેસોમાં પણ સામાન્ય ફેરફાર જાેવા મળી રહયો છે. છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં ર૦ હજાર કરતા પણ ઓછા કેસો નોંધાઈ રહયા છે જેના કારણે કેન્દ્ર સરકારે રાહતનો શ્વાસ લીધો છે પરંતુ ઓમીક્રોન વેરિયન્ટે સરકારને ફરી સક્રિય કરી દીધી છે. બીજી લહેરમાં ભારત દેશમાં ખુબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી. હોસ્પિટલોની બહાર દર્દીઓની લાઈનો લાગી હતી

અને ઓક્સિજનની પણ ભારે અછત જાેવા મળતી હતી આરોગ્ય સેવા ઉપર તેની વિપરીત અસર જાેવા મળતી હતી પરંતુ ધીમે ધીમે રસીકરણની ઝુંબેશ સાથે કોરોનાના કેસો ઘટતા પરિસ્થિતિ કાબુમાં આવવા લાગી હતી પરંતુ ઓમીક્રોન વેરિયન્ટના પગલે ફરી એક વખત સરકારે સાવચેત બનીને અગમચેતીની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા રાખવા સુચનાઓ આપી દેવામાં આવી છે તથા ઓક્સિજનનો જથ્થો પણ ઉપલબ્ધ બને તે માટેનું આયોજન શરૂ કરી દેવાયું છે. ભારત દેશમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કોલકાત્તા, બેંગ્લોર સહિતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટો પર વિદેશથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ આજે ઓમીક્રોન વેરિયન્ટના કારણે વિશ્વભરના દેશો ઉપર ખતરો તોળાઈ રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.