Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં સૌથી અમિર ઉમેદવાર પાસે ૨૯૬ કરોડ

લખનઉ, લોકશાહીમાં સૌથી ધનિક અને સૌથી ગરીબ બન્ને વર્ગના લોકોને ચૂંટણી લડવાનો સમાન અધિકાર છે. જાેકે અમિરોનો રાજકારણમાં દબદબો વધતો જાય છે. એવામાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે.

એવામાં બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા અમિર અને ગરીબ ઉમેદવારોની ભારે ચર્ચા છે. ઉ. પ્રદેશમાં જે પણ ઉમેદવારો બીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં સૌથી અમિર ઉમેદવાર પાસે ૨૯૬ કરોડની સંપત્તિ છે જ્યારે સૌથી ગરીબ ઉમેદવાર પાસે માત્ર ૬૭૦૦ રૂપિયા છે.

એક રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં બીજા તબક્કામાં જે ૫૫ બેઠકો પર ૧૪મી ફેબુ્રઆરીએ મતદાન યોજાવા જઇ રહ્યું છે તેમાં સૌથી અમિર ઉમેદવાર પાસે કરોડો રૂપિયા જ્યારે સૌથી ગરીબ પાસે ૧૦,૦૦૦ રૂપિયાથી પણ વધુની મિલકત નથી.

ધ ઉત્તર પ્રદેશ ઇલેક્શન વોચ એન્ડ અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) દ્વારા જારી આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા સોગંદનામનું અધ્યયન કરવામાં આવ્યું છે જેમાં સૌથી અમિર ઉમેદવાર નવાબ કાઝીમ અલી ખાનનું નામ મોખરે છે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને રામપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

તેમની પાસે કુલ સંપત્તિ ૨૯૬ કરોડ રૂપિયાની છે. જ્યારે બીજા ક્રમે સમાજવાદી પાર્ટીના બરેલીના ઉમેદવાર સુપ્રીયા છે જેમની પાસે કુલ ૧૫૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે ભાજપના નૌગવાન બેઠક પરના ઉમેદવાર દેવેંદ્ર નાગપાલ પાસે ૧૪૦ કરોડની સંપત્તિ છે.

બીજી તરફ શાહજહાનપુર બેઠક પર અપક્ષ ચૂંટણી લડી રહેલા સંજય કુમાર પાસે માત્ર ૬૭૦૦ રૂપિયા જ સંપત્તિ તરીકે છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીના વિશાલ કુમાર પાસે ૧૩૫૦૦ અને ઉસ્માન મલિક પાસે માત્ર ૧૫૦૦૦ રૂપિયાની જ સંપત્તિ છે.

બીજા તબક્કામાં કુલ ૨૬૦ ઉમેદવારો કરોડપતિ છે. કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપનારા પક્ષોમાં ૫૨ સાથે ભાજપ પ્રથમ ક્રમે જ્યારે આવા ૪૮ ઉમેદવારો સાથે સમાજવાદી પાર્ટી બીજા ક્રમે છે. બીએસપીએ પણ ૪૬ કરોડપતિ ઉમેદવારોને ટિકિટ આપી છે.

જ્યારે કોંગ્રેસના ૩૧ ઉમેદવારો કરોડપતિ છે. બીજા તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પાસે સરેરાશ ૪.૧૧ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા તબક્કામાં સામેલ ૨૯ ટકા ઉમેદવારોએ તો પોતાનો પીએએન નંબર જ નથી આપ્યો.

એટલે કે બીજા તબક્કામાં પણ અમિર ઉમેદવારોનો દબદબો વધારે જાેવા મળી રહ્યો છે. જ્યારે ગરીબ ઉમેદવારોની સંખ્યા બહુ જ ઓછી છે. નિષ્ણાતોના મતે પૈસાના જાેરે ચૂંટણી જીતવાથી પારદર્શી રીતે ચૂંટણી યોજવા પર માઠી અસર પહોંચાડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.