Western Times News

Gujarati News

યુપી ૨૦૨૨ઃ બીજા તબક્કાના વોટિંગ ટ્રેન્ડે અનેક સવાલ ઊભા કર્યા

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ નવ જિલ્લાની ૫૫ બેઠકો માટે મતદાન થયું. અહીંથી કુલ ૫૮૬ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું.

આ વખતે મતદાનની ટકાવારી પહેલા કરતા ઓછી રહી. કુલ ૬૧.૮૦ ટકા મતદાન થયું. જ્યારે ગત વખતે આ જ બેઠકો પર લગભગ ૬૫ ટકા મતદાન થયું હતું. એ રીતે જાેઈએ તો આ વખતે ૩ ટકા જેટલું ઓછું મતદાન થયું છે. આવામાં લોકોના મનમાં એ સવાલ ઉભો થાય છે કે બીજા તબક્કામાં વોટિંગ ટ્રેન્ડ શું કહે છે.

બીજા તબક્કામાં જે ૫૫ બેઠકો પર મતદાન થયું તે બેઠકો પર ૨૦૧૭ના ચૂંટણી પરિણામ જાેઈએ તો ભાજપે ૩૮ બેઠકો મેળવી હતી. સમાજવાદી પાર્ટીએ ૧૫ અને કોંગ્રેસને ૨ બેઠક મળી હતી.

આ વખતે ભાજપ સામે મુકાબલા માટે અખિલેશ યાદવ અને જયંત ચૌધરીએ ગઠબંધન કર્યું છે. અખિલેશની નજર શરૂઆતથી જ બીજા તબક્કાના મતદાન પર હતી. કારણ કે અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા સારી એવી છે. જે નવ જિલ્લામાં બીજા તબક્કા હેઠળ મતદાન થયું છે તેમાંથી ૬ જિલ્લાઓમાં ૪૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી છે.

રામપુર માં ૫૦ ટકાથી વધુ મુસલમાન છે. એ જ રીતે મુરાદાબાદ અને સંભલમાં ૪૭ ટકા, બિજનૌરમાં ૪૩ ટકા, સહારનપુરમાં ૪૧ ટકા અને અમરોહામાં ૪૦ ટકાથી વધુ મુસ્લિમ છે. એક અંદાજા મુજબ આ વખતે આ બેઠકો પર મુસલમાન વોટર્સે ૬૫થી ૭૦ ટકા સુધી મતદાન કર્યું છે. ૨૦૧૭માં આ આંકડો ૫૦ ટકા હતો. એટલે કે ૫૦ ટકા મુસ્લિમ સમુદાયના મતદારોએ મત આપ્યા જ નહતા.

પરંતુ આ વખતે ૧૫ થી ૨૦ ટકા વોટિંગ વધુ થયું. જેનો સીધો અર્થ એ છે કે મુસ્લિમ મતદારો જાણતા હતા કે તેમણે કોને અને શાં માટે મત આપવાનો છે.

પહેલા તબક્કાની વાત કરીએ તો કુલ ૬૨.૦૮ ટકા મતદાન થયું હતું. કૈરાનામાં સૌથી વધુ ૭૫.૧૨ ટકા મતદાન થયું તો સાહિબાબાદમાં સૌથી ઓછું ૪૫ ટકા મતદાન થયું. પહેલા તબક્કામાં જે ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થયું હતું તે વિધાનસભા ક્ષેત્રોમાં ૨૦૧૭માં ૬૩.૭૫ અને ૨૦૧૨માં ૬૧.૦૩ ટકા મતદાન થયું હતું.

એક્સપર્ટ માને છે કે યુપી ચૂંટણીના પહેલા તબક્કામાં થયેલા વોટિંગને પણ અગ્રેસિવ વોટિંગના દાયરામાં જ રાખવું જાેઈએ. હવે બીજા તબક્કામાં જે પ્રકારે મતદારોએ ઉત્સાહ દેખાડ્યો છે તેનાથી અનેક સવાલ ઊભા થયા છે. જાે કે બીજા તબક્કામાં ગત વખત કરતા ઓછું વોટિંગ થયું છે. પરંતુ પહેલા તબક્કાની સરખામણીમાં આ કદાચ વધુ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીના આંકડા જાેઈએ તો વોટિંગ ટકાવારી વધી હતી અને તેનું પરિણામ સત્તા પરિવર્તન રૂપે જાેવા મળ્યું હતું.

બે તબક્કાની ચૂંટણીમાં જાટલેન્ડ, મુસ્લિમ બેલ્ટ અને રૂહેલખંડની લડાઈ જાેવા મળી છે. હવે ત્રીજા તબક્કામાં સેન્ટ્રલ યુપીના યાદવ બેલ્ટ અને બુંદેલખંડની બેઠકો પર મતદાન થશે. મતદારોના બદલાતા સમીકરણ સાથે જ ત્રીજા તબક્કાથી ચૂંટણી મુદ્દાઓ અને ભાષણોના ટોન પણ બદલાઈ શકે છે.

ત્રીજા તબક્કા હેઠળ જે ૧૬ જિલ્લાની વિધાનસભા બેઠકો પર મતદાન થશે તેમાં હાથરસ, ફિરોઝાબાદ, કાસગંજ, એટા, મૈનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, અને ઈટાવા જિલ્લા સામેલ છે. ઓરૈયા, કાનપુર ગ્રામીણ, કાનપુર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબામાં પણ ત્રીજા તબક્કા હેઠળ મતદાન થવાનું છે. જેમાંથી સાત જિલ્લા યાદવ બેલ્ટ અને પાંચ જિલ્લા બુંદેલખંડના છે.

સપાનું પ્રદર્શન આ વિસ્તારમાં ખરાબ રહ્યું છે. ૨૦૧૭માં સત્તામાં રહેવા છતાં સપા અહીંથી આશા મુજબ મત ભેગા કરી શકી નહતી. પાર્ટીને માત્ર આઠ બેઠકો મળી હતી. સપાની ગઠબંધન સહયોગી કોંગ્રેસને તો એક જ બેઠક મળી હતી. જ્યારે ભાજપે ૪૯ બેઠકો જીતી હતી. ૨૦૨૨માં અખિલેશ યાદવ પણ પોતે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.