Western Times News

Gujarati News

આરોગ્ય મંત્રીએ વિરમગામમાં ‘મહાત્મા ગાંધી સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ’નું લોકાર્પણ કર્યું

“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ: નવીન આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ, ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરાયું :

કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા અને રાજ્ય મંત્રી શ્રીમતી નિમીષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિ : અંદાજીત ૧૦ કરોડના ખર્ચે તૈયાર થઈ છે ૭૫ બેડની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ “મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ”

વિરમગામ : અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે વિરમગામમાં  “મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ” જનહિતાર્થે શુભારંભ કરાવતાં કહ્યું કે, ૭૫ બેડની હોસ્પિટલ વિરમગામ સહિતના આસપાસના તાલુકાના જરૂરિયાતમંદોને આરોગ્ય સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવામાં આશીર્વાદરૂપ બની રહેશે.

કોરોના કાળની વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ૧૫ મહિનાના ટૂંકા ગાળામાં મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલનું નિર્માણ નાગરિકોના આરોગ્ય પ્રત્યે સરકારની જવાબ દોહિતાનું સૂચન કરે છે. મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં નવીન આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ, નવીન ડાયાલિસિસ સેન્ટર અને ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તમામ સુવિધાઓ નાગરિકો લક્ષી સારવારને વધુ સઘન અને ગ્રામ્ય બનાવશે તેવો ભાવ મંત્રીએ વ્યકત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વન નેશન વન હેલ્થ” ના વિઝનને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર સજ્જ  છે તેમ મંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી  એ ટેલીમેડિસિન સેવા થકી આરોગ્યલક્ષી સેવાઓમાં નવોદય થયું હોવાનું જણાવી જરૂરિયાતમંદ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઘર બેઠા જ ઉપલબ્ધ થઇ રહી છે તેમ ઉમેર્યું હતુ.

કેન્દ્રીય આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્ર મુંજપુરા એ આરોગ્ય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી નાગરિકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકાર દ્વારા નવીન 16  એઇમ્સ કાર્યરત કરવામાં આવનાર છે તેમ જણાવીને રાજકોટની એઇમ્સમાં તબક્કાવાર શરૂ થઇ રહેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.

દેશભરમાં દોઢ લાખ હેલ્થ વેલનેસ સેન્ટર કાર્યરત કરીને એક જ છત નીચે આયુર્વેદિક, હોમિયોપેથી અને એલોપથીના ત્રિવેણી સંગમ સાથેની સારવાર જરૂરિયાત મંદોને પૂરી પાડવાની દિશામાં કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ હોવાનું મંત્રીએ કહ્યું હતું. ડી-બાટ ના નિયમને દૂર કરીને કેન્દ્ર સરકારે મેડિકલ ક્ષેત્રે કારકિર્દી ઘડતરના સ્વપ્ન સેવતા અગણ્ય યુવાનો માટે નવી  માર્ગ ચિંધ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારે મહાત્મા ગાંધી સબ ડીસ્ટ્રીક હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી વિવિધ સુવિધાઓ,  સેવાઓ અને યોજનાકીય લાભો વિશે લોકોને માહિતગાર કર્યા હતા.તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ થનારી ડાયાલિસિસની સેવા અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેવો ભાવ પણ વ્યક્ત કર્યો હતો.

મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનારા હેલ્થ વર્કરનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના અંતર્ગત ગ્રીન કોરિડોર અને કેસ પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, હોસ્પિટલમાં સર્જિકલ, ગાયનેક, ઓર્થોપેડિક, આંખ આમ કુલ ચાર ઓપરેશન થીયેટર દર્દીઓની  સેવામાં કાર્યરત કરવામાં આવ્યા છે.આ હોસ્પિટલમાં ટી.બી.ની સારવાર માટે ટી.બી. ડોટ સેન્ટર, એચઆઇવી, એસટીડી કાઉન્સિલર સેન્ટર કાર્યરત કર્યા છે.

આ લોકાર્પણ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ,  પ્રભારી અમદાવાદ જીલ્લા ભાજપ વર્ષાબેન દોશી, પ્રમુખ અમદાવાદ જીલ્લા ભાજપ હર્ષદગીરી ગોસાઈ, પુર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, નગરપાલીકા પ્રમુખ ચેતનભાઇ રાઠોડ, અધિક નિયામક ડો એચ કે ભાવસાર, આઇકેડી ડાયરેક્ટર ડૉ.વિનીત મિશ્રા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધીકારીઓ સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.