Western Times News

Gujarati News

પિતાના નામે સ્યુસાઈડ નોટ લખી દીકરીએ જીવન ટૂંકાવ્યું

રાજકોટ, રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં દીપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે.

સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દીપાલીએ લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. આ સુસાઇડ નોટમાં દીપાલીએ સુનીલ નામના યુવકના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે.

યુનિવર્સિટી પોલીસે કબજે કરેલી સુસાઈડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે, હું સુસાઈડ કરું છું. મને સુસાઈડ માટે મજબૂર સુનીલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે. મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા- દિપાલી.

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ ૩૦૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો હતો તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જાેડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ચર્ચાતી વાતો મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા.

પરંતુ કોઇ કારણોસર સુનીલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનીલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ કેસમાં હાલ પોલીસે તપાસ આરંભી છે. તપાસના અંતે સમગ્ર હકીકત સામે આવશે. બીજી તરફ પોલીસે સુનીલને શોધવાની કવાયત પણ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.